સિરીઝ ખોટા ટાઇમે રાખવામાં આવી : ધોની

16 October, 2011 08:06 PM IST  | 

સિરીઝ ખોટા ટાઇમે રાખવામાં આવી : ધોની

ધોનીએ કહ્યું કે પહેલી વન-ડે તો જીતી ગયા, પણ બૉલ પરની ભીનાશને લીધે બીજી મૅચો જીતવામાં મુશ્કેલી પડે પણ ખરી

ધોનીએ ભારતના ટોટલને ૩૦૦ રનના આંકડા પર પહોંચાડ્યું ત્યાર બાદ સ્પિનરો રવીન્દ્ર જાડેજા (૩૪ રનમાં ત્રણ વિકેટ) અને રવિચન્દ્રન અશ્વિન (૩૫ રનમાં ત્રણ વિકેટ) તેમ જ ચોથી

વન-ડે રમનાર પેસબોલર ઉમેશ યાદવ (૩૨ રનમાં બે વિકેટ)ના તરખાટથી ઇંગ્લિશમેનોનો ધબડકો થયો હતો અને તેઓ ૧૭૪ રનમાં ઑલઆઉટ થઈ જતાં ૧૨૬ રનથી હારી ગયા હતા.

ધોનીએ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ સ્વીકાર્યા પછીનાં નિવેદનોમાં ટીમ ઇન્ડિયાના બોલરોની વાત કરવાની સાથે ભેજવાળા વાતાવરણનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ‘આ પહેલી મૅચ દરમ્યાન તો સાંજના વાતાવરણમાં ખાસ કંઈ ભેજ નહોતો એટલે બોલરોને અને એમાં ખાસ કરીને સ્પિનરોને ખાસ કંઈ મુશ્કેલી નહોતી પડી. હવામાં ભેજ ન હોવાને કારણે બૉલ ભીનો નહોતો થઈ જતો અને બૉલ પર બોલરોની સારી િગ્રપ આવતી હતી. જોકે હવે પછી દિલ્હી, મોહાલી, મુંબઈ અને કલકત્તામાં વન-ડે રમાશે અને ત્યાં સાંજના સમયે ભેજવાળી આબોહવા અવરોધરૂપ બને પણ ખરી.’

ટૉસ નહીં પણ ભેજ નિર્ણાયક

ધોનીએ હવામાનને આધારે સિરીઝમાં કેવા વળાંકો જોવા મળી શકે એની વાત કરતાં જણાવ્યું હતું કે ‘મારા મતે આ સિરીઝ માટેનો સમય જ ખોટો છે. જો આ શ્રેણી એપ્રિલ કે મે મહિનામાં હોત તો હવામાં જરાય ભેજ ન

હોત અને મોટા ભાગની પિચો પર બૉલ ખૂબ ટર્ન થતા હોત. એ સંજોગોમાં સ્પિનરોને તો ઘણો ફાયદો થાત જ, ફાસ્ટ બોલરો પણ ક્યારેક સ્લૉ બૉલ ફેંકીને બૅટ્સમેનોને મુસીબતમાં લાવી દેત. જોકે અત્યારે તો શિયાળાની શરૂઆત છે એટલે ક્યારે, કયા સ્થળે કેટલો ભેજ હશે અને હશે કે નહીં એ કહેવું ખૂબ મુશ્કેલ છે.’

બોલરોનું કૉમ્બિનેશન મહત્વનું

ધોનીએ ભેજવાળા વાતાવરણની વાત કરતાં બોલરોના કૉમ્બિનેશનની પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે ‘મૅચની આગલી રાતે (ગુરુવારે) થોડો ભેજ હતો, પરંતુ મૅચ પૂરી થઈ ત્યાં સુધી નહોતો. જો સિરીઝ નવેમ્બર કે ડિસેમ્બરમાં રમાતી હોત અને હું ટૉસ જીત્યો હોત તો મેં આંખ બંધ કરીને ફીલ્ડિંગ જ લઈ લીધી હોત, કારણ કે એ સમયે સાંજે ભેજને કારણે બૉલ વારંવાર ભીનો થતાં ઇંગ્લિશ બોલરોને બૉલ પર િગ્રપ લાવવામાં તકલીફ થઈ હોત અને એનો આપણા બૅટ્સમેનોને ફાયદો

થયો હોત. જોકે અત્યારે સ્થિતિ ગૂંચવણભરી છે. આગામી મૅચોમાં કેટલા સ્પિનરોને લેવા અને કેટલા પેસબોલરોને એનો નર્ણિય દરેક મૅચ પહેલાં જ લેવો પડશે. જોકે મોટા ભાગે અમે ઇલેવનમાં ત્રણ પેસબોલરો અને બે સ્પિનરોને જ રાખીશું.’

ઇંગ્લૅન્ડટૂરનું ફૉર્મ જાળવી રાખ્યું

ધોની શુક્રવારે હૈદરાબાદની મૅચમાં વન-ડેનો ૧૦૦મો કૅચ પકડનાર વિશ્વનો પ્રથમ વિકેટકીપર-કૅપ્ટન બન્યો હતો. જોકે એ દિવસે તેણે ખાસ કરીને બૅટ્સમૅનના રૂપમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી. તેને અણનમ

૮૭ રન બદલ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો. ગયા મહિને ઇંગ્લૅન્ડમાં પૂરી થયેલી વન-ડે સિરીઝમાં તેના કુલ ૨૩૬ રન બન્ને ટીમના બૅટ્સમેનોમાં હાઇએસ્ટ હતા. તેણે બૅટિંગનું એ ફૉર્મ ભારતમાં પણ જાળવી રાખ્યું છે.

નંબર ગેમ



મહેન્દ્ર સિંહ ધોની સતત ચાર વન-ડેમાં હાફ સેન્ચુરી કરનાર આટલામો ભારતીય કૅપ્ટન બન્યો છે. આ પહેલાં મોહમ્મદ અઝહરુદ્દીને ૧૯૯૦માં અને ૧૯૯૩માં આ સિદ્ધિ મેળવી ત્યાર પછી સૌરવ ગાંગુલીએ ૨૦૦૨માં લાગલગાટ ચાર વન-ડેમાં ફિફ્ટી-પ્લસ કર્યા હતા



ધોનીએ શુક્રવારની વન-ડેમાં પ્રથમ આટલા રન ૧૮ બૉલમાં બનાવ્યા હતા અને છેક ૧૯મા બૉલમાં પ્રથમ ફોર ફટકારી હતી. ત્યાર પછી તેણે લગભગ દરેક ઓવરમાં બોલરોની ખબર લઈ નાખી હતી

૧૬

સુરેશ રૈના વન-ડેમાં ૩૦૦૦ રન કરનાર ભારતનો આટલામો અને વિશ્વનો ૧૧૭મો પ્લેયર છે. તેણે ભારતમાં ૪૦.૬૪ની અને વિદેશોમાં ૩૩.૪૦ની બૅટિંગઍવરેજે રન કર્યા છે

૨૭

ભારતમાં ઇંગ્લૅન્ડના ક્રિકેટરો આટલા વર્ષથી વન-ડે સિરીઝ નથી જીતી શક્યા. છેલ્લે ઇંગ્લિશમેનો ૧૯૮૪માં ભારતમાં સિરીઝ ૪-૧થી જીત્યા હતા. ત્યાર પછી ૧૯૯૨ની અને ૨૦૦૧ની સિરીઝ

૩-૩થી ડ્રૉ થઈ હતી, જ્યારે ૨૦૦૬ની સિરીઝ ભારતે ૫-૧થી અને છેલ્લે ૨૦૦૮ની પણ ભારતે ૫-૦થી જીતી લીધી હતી

૩૪

શુક્રવારે ભારતીય ટીમ આટલા મહિને ઇંગ્લૅન્ડ સામે જીતી હતી. ડિસેમ્બર ૨૦૦૮ની ચેન્નઈની ટેસ્ટમાં વિજય મેળવ્યા પછીના લગભગ ત્રણ વર્ષના સમયગાળા દરમ્યાન ભારતીયોની ઇંગ્લિશમેનો સામેની જૂન ૨૦૦૯ની T20 મૅચમાં હાર થઈ હતી, ફેબ્રુઆરી ૨૦૧૧માં વલ્ર્ડ કપની મૅચ ટાઇ થઈ હતી અને ત્યાર બાદ ઇંગ્લૅન્ડના પ્રવાસમાં ટીમ ઇન્ડિયા બધી મૅચો હારી હતી