07 August, 2019 03:14 PM IST | મુંબઈ
સૌરવ ગાંગુલી (File Photo)
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI પર નિશાન સાધ્યું છે. સૌરવ ગાંગુલીએ BCCIના તાજેતરના નિર્ણયોને લઈ કહ્યું છે કે,'ભગવાન ભારતીય ક્રિકેટની મદ કરો.' BCCIએ રાહુલ દ્રવિડને કોન્ફ્લીક્ટ ઓફ ઈન્ટ્રેસ્ટ મામલે નોટિસ આપતા સૌરવ ગાંગુલીએ ટ્વિટ કરીને નિશાન સાધ્યું છે.
મંગળવારે BCCIએ બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીના ચીફ અને પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડદને બોર્ડના નૈતિક અધિકારી ડી. કે. જૈને કોન્ફ્લીક્ટ ઓફ ઈન્ટ્રેસ્ટ એટલે કે હિતોના ટકરાવ મામલે નોટિસ પાઠવી છે. સૌરવ ગાંગુલીએ આ મામલે BCCI પર ટ્વિટ કરીને ગુસ્સો ઠાલવ્યો છે, હરભજન સિંહે પણ તેમનું સમર્થન કર્યું છે.
સૌરવ ગાંગુલીએ ટ્વિટ કરીને લખ્યું છે,'ભારતીય ક્રિકેટમાં નવી ફેશન... કોન્ફ્લીક્ટ ઓફ ઈન્ટ્રેસ્ટ.. સમાચારમાં ટકી રહેવાની સૌથી સારી રીત... ભગવાન ભારતીય ક્રિકેટની મદદ કરો.. દ્રવિડને BCCIના એથિક્સ ઓફિસરે હિતોના ટકરવા માટે નોટિસ આપી છે.'
ટીમ ઈન્ડિયામાં સૌરવ ગાંગુલી સાથે રમનાર ઓફ સ્પિનર હરભજન સિંહે પણ આ અહેવાલ પર ગુસ્સો દર્શાવ્યો છે. હરભજન સિંહે સૌરવ ગાંગુલીનું ટ્વિટ રિ ટ્વિટ કરતા લખ્યું છે, કે આ પ્રકારની નોટિસથી લેજન્ડ ક્રિકેટર્સનું અપમાન કરી રહ્યા છે.
હરભજન સિંહે સૌરવ ગાંગુલીનું ટ્વિટ રિટ્વિટ કરતા લખ્યું,'ખરેખર ? તેમને નથી ખબર તેઓ ક્યાં જઈ રહ્યા છે. તમે ભારતીય ક્રિકેટમાં તેમના કરતા સારો વ્યક્તિ નહીં મેળવી શકો. દિગ્ગજોને નોટિસ મોકલવી એ તેમનું અપમાન કરવા બરાબર છે. ક્રિકેટને સારુ કરવા તેમની સેવાઓની જરૂર છે. હા ભગવાન ભારતીય ક્રિકેટને બચાવો.'
મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિયેશનના સભ્ય સંજીવ ગુપ્તાએ એથિક્સ ઓફિસર જસ્ટિસ ડીકે જૈનને ફરિયાદ નોંધાવી હતી. સંજીવ ગુપ્તાની ફરિયાદ મુજબ રાહુલ દ્રવિડ કથિત રીતે NCAના ડિરેક્ટર છે, અને ેક એમ્પલોયીની જેમ તેઓ ઈન્ડિયા સિમેન્ટ ગ્રુપના વાઈસ પ્રેસિડેન્ટ છે, જેમની પોતાની IPL ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સ છે.
ડીકે જૈનનું કહેવું છે કે,'ફરિયાદ મળ્યા બાદ ગયા અઠવાડિયે મેં રાહુલ દ્રવિડને નોટિસ આપી છે. હિતો પર ટકરાવ મામલે આરોપોનો જવાબ આપવા તેમને બે સપ્તાહનો સમય અપાયો છે. તેમના જવાબ બાદ જ આગળની કાર્યવાહી કરીશ.'
આ પણ વાંચોઃ આઇસીસી રૅન્કિંગમાં પુજારાને પછાડી સ્મિથ પહોંચ્યો ત્રીજા ક્રમાંકે
ઉલ્લેખનીય છે કે રાહુલ દ્રવિડ પહેલા ક્રિકેટ એડવાઈઝરી કમિટીના પૂર્વ સભ્ય સચિન તેન્ડુલકર, વીવીએસ લક્ષ્મણ, સૌરવ ગાંગુલીને પણ હિતોના ટકરાવ મામલે નોટિસ મળી હતી. આ ત્રણેય મહાન ખેલાડીઓને IPL ઉપરાંત અન્ય કામ કરવા માટે નોટિસ મળી હતી.