પાર્થિવ-સહાની રસાકસીમાં બન્નેની બરાબરી

18 November, 2012 04:22 AM IST  | 

પાર્થિવ-સહાની રસાકસીમાં બન્નેની બરાબરી



કલકત્તા : રણજી ટ્રોફીમાં ગઈ કાલે ત્રીજી લીગ મૅચોનો રાઉન્ડ શરૂ થયો હતો જેમાં કલકત્તામાં ગુજરાત શરૂઆતના બે આંચકા પછી સારી સ્થિતિમાં આવી ગયું હતું. રમતના અંત સુધીમાં ગુજરાતના છ વિકેટે ૨૩૦ રન હતા. એમાં કૅપ્ટન અને વિકેટકીપર પાર્થિવ પટેલ (૬૭ બૉલમાં ૬૧ રન) અને ઓપનર સ્મિત પટેલ (૧૨૪ બૉલમાં ૬૭ રન) બનાવ્યા હતા. મનપ્રીત જુનેજા (૧૧૦ બૉલમાં ૪૧ રન)ની સાથે રાકેશ ધþુવ (૬૯ બૉલમાં ૩ સિક્સર અને ૪ ફોર સાથે ૩૮ રન) નૉટઆઉટ હતો.

મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ટીમનો કૅપ્ટન ઉપરાંત વિકેટકીપર પણ છે. જોકે થોડા સમયથી આ ટીમના બીજા વિકેટકીપર તરીકે પાર્થિવ અને બેન્ગાલના વૃદ્ધિમાન સહા વચ્ચે હરીફાઈ થઈ રહી છે. પોતાનો દાવો મજબૂત કરવા તેઓ રણજી ટ્રોફીમાં શરૂઆતથી સારું પર્ફોમ કરી રહ્યા છે. આ વખતની રણજી સીઝની આગલી બે મૅચમાં પાર્થિવની એક સેન્ચુરી અને બે હાફ સેન્ચુરીની મદદથી ૯૯.૩૩ની બૅટિંગઍવરેજ હતી. સહાએ બે મૅચમાં ચાર હાફ સેન્ચુરી ફટકારી છે અને તેની ૯૩.૦૦ની સરેરાશ છે. આ બન્ને પ્લેયરો જ્યારે પણ સામસામે રમે ત્યારે તેમની વચ્ચે તીવþ હરીફાઈ જોવા મળતી હોય છે. ગઈ કાલે પાર્થિવ ૬૧ રન પર હતો ત્યારે સહાએ લેફ્ટી સ્પિનર ઇરેશ સક્સેનાના બૉલમાં તેનો કૅચ પકડી લીધો હતો.

સંદીપ પાટીલ ચીફ સિલેક્ટર બન્યા પછી હવે ટીમ ઇન્ડિયા માટેની સિલેક્શનની નીતિ થોડી બદલાઈ છે અને ધોની પછીના બીજા વિકેટકીપર તરીકે તેઓ નજીકના ભવિષ્યમાં પાર્થિવ કે સહામાંથી કોઈને ટીમમાં સમાવે પણ ખરા.

અમોલ પાછો રણજીમાં નંબર વન

મુંબઈ અને આસામ પછી હવે આંધ્ર પ્રદેશ વતી રણજીમાં રમી રહેલો ૩૮ વર્ષની ઉંમરનો અમોલ મુઝુમદાર ગઈ કાલે રણજી ટ્રોફીમાં ફરી સૌથી વધુ રન બનાવનાર પ્લેયર બન્યો હતો. તે ગઈ કાલે હિમાચલ પ્રદેશ સામેની મૅચના પ્રથમ દિવસે ૧૦૧ રન બનાવીને આઉટ થયો હતો. તે ૬૯મા રને પહોંચ્યો ત્યારે તેણે રણજીના નંબર વન બૅટ્સમૅન વસીમ જાફરના ૮૩૨૦ રનના ટોટલને પાર કર્યું હતું. ૧૦૧

રન સાથે અમોલના હવે કુલ ૮૩૫૩ રન છે.ગઈ કાલે આંધ્ર પ્રદેશના સાત વિકેટે ૩૩૧ રન હતા.

હરિયાણા ૬૬ રનમાં ઑલઆઉટ

હરિયાણાની રણજી ટીમે ગઈ કાલે પોતાના રાજ્યના મુખ્ય શહેર રોહતકમાં આ સીઝનની બીજી નામોશી જોવી પડી હતી. આ ટીમ ઓડિસા સામેની ચાર દિવસની મૅચના પહેલા દિવસે ૬૬ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. બીજી નવેમ્બરે રોહતકમાં વિદર્ભ સામે હરિયાણા પ્રથમ દાવમાં ફક્ત પંચાવન રને ઑલઆઉટ થયું હતું અને બે દિવસ બાદ ૮ વિકેટે હારી ગયું હતું.

ગઈ કાલે ઓડિસા સામે માત્ર બે બૅટ્સમેનો ડબલ-ડિજિટમાં રન બનાવી શક્યા હતા. ઓડિસાના પેસબોલર બસંત મોહન્તીએ સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. રમતના અંત સુધીમાં ઓડિસાએ ચાર વિકેટે ૮૧ રન બનાવ્યા હતા.

અન્ય મુખ્ય રણજી મૅચોમાં શું બન્યું?

દિલ્હીમાં દિલ્હી સામે ઈજાગ્રસ્ત પઠાણબંધુઓ ઇરફાન અને યુસુફની ગેરહાજરીમાં રમવા ઊતરેલી બરોડાની ટીમે ત્રણ વિકેટે ૨૫૨ રન બનાવ્યા હતા. કૅપ્ટન અંબાતી રાયુડુ (૮૩)ની સાથે અભિમન્યુ ચૌહાણ (૮૨) દાવમાં હતો.

હૈદરાબાદમાં હૈદરાબાદ સામે સૌરાષ્ટ્રના છ વિકેટે ૧૭૫ રન હતા. કૅપ્ટન જયદેવ શાહે ૪૭ રન અને ઓપનર ભૂષણ ચૌહાણે ૪૭ રન બનાવીને વિકેટ ગુમાવી હતી. પેસબોલર આશિષ રેડ્ડીએ ચાર વિકેટ લીધી હતી.