31 March, 2020 03:02 PM IST | Lahore | Agencies
વસીમ અકરમ
વસીમ અકરમનું માનવું છે કે ટેસ્ટ-ક્રિકેટમાં ઓપનિંગની પરિભાષા વીરેન્દર સેહવાગે નહીં, પરંતુ શાહિદ આફ્રિદીએ બદલી હતી. એક યુટ્યુબ ચેટ શોમાં વસીમ અકરમે કહ્યું હતું કે ‘ટેસ્ટમાં સેહવાગ લેટ આવ્યો હતો, પરંતુ ૧૯૯૯-૨૦૦૦માં શાહિદ આફ્રિદીએ ટેસ્ટ મૅચની ઓપનિંગનું માઇન્ડ સેટ ચેન્જ કરી દીધું હતું. હું બોલર હતો એમ છતાં મને ખબર હતી કે હું તેને આઉટ તો કરી શકું છું, પરંતુ તે મને બાઉન્ડરીસ પણ મારી શકે છે. તે સામાન્ય બૉલને પણ સિક્સમાં કન્વર્ટ કરવા સક્ષમ છે.’
ક્રિકેટ ફેટર્નિટીમાં ઘણા લોકોને એવું લાગે છે કે સેહવાગે ટેસ્ટ મૅચની પરિભાષા બદલી કાઢી હતી, જેમાં ડેવિડ વૉર્નરનો પણ સમાવેશ થાય છે. ૧૯૯૮માં ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મૅચમાં ડેબ્યુ કરનાર આફ્રિદીનો સમાવેશ ૧૯૯૯-૨૦૦૦ની ઇન્ડિયા ટૂરમાં સમાવેશ કરવામાં નહોતો આવ્યો. જોકે અંતે તેનું નામ ઍડ્ થયું હતું અને તેણે ચેન્નઈમાં ટેસ્ટમાં તેની પહેલી સેન્ચુરી મારી હતી. આ સિરીઝ પાકિસ્તાન ૨-૧થી જીતી ગયું હતું. આ વિશે વાત કરતાં અકરમે કહ્યું હતું કે ‘મેં ઇમરાન ખાનને ટૂર સિલેક્શન પહેલાં કૉલ કરીને કહ્યું હતું કે મારે આ ટૂરમાં શાહિદ આફ્રિદીને લઈ જવો છે. કેટલાક સિલેક્ટર્સ એ વિરુદ્ધ હતા. ઇમરાન ખાને મને કહ્યું હતું કે આફ્રિદીને જરૂરથી લઈ જવો જોઈએ અને તે એક-બે ટેસ્ટ જીત્યા બાદ તેની પાસે ઓપનિંગ પણ કરાવવું જોઈએ.’
જોકે આફ્રિદી વધુ ટેસ્ટ નહોતો રમ્યો. તેનું ટેસ્ટ-કરીઅર ફક્ત ૨૭ ટેસ્ટ્સ પૂરતું જ હતું.