16 September, 2020 05:01 PM IST | Karachi | IANS
પ્રતીકાત્મક તસવીર
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આગામી નૅશનલ ટી૨૦ ટુર્નામેન્ટમાં ભાગ લેનારા ૨૪૦ ખેલાડીઓ, અધિકારીઓ અને સ્ટેકહોલ્ડર્સને પોતાના ખર્ચે શરૂઆતની કોરોના-ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. બોર્ડના નિયમ અનુસાર આ નૅશનલ ચૅમ્પિયનશિપમાં ભાગ લેવા માટે કોરોનાના બે રિપોર્ટ નેગેટિવ આવવા જરૂરી છે. બોર્ડે શરૂઆતના રિપોર્ટ બાદ બીજી ટેસ્ટનો ખર્ચ તેઓ ભોગવશે એની પણ સ્પષ્ટતા કરી છે. જોકે આ શરૂઆતની ટેસ્ટ ખેલાડીઓ અને અધિકારીઓએ કઈ હૉસ્પિટલ કે લૅબોરેટરીમાં કરાવવી એના વિશે કોઈ ફોડ નથી પાડ્યો. આ ટુર્નામેન્ટ ૩૦ સપ્ટેમ્બરથી રાવલપિંડી અને મુલતાનમાં શરૂ થશે.
બીજી તરફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઝિમ્બાબ્વે સામે આગામી ઇન્ટરનૅશનલ સિરીઝ માટે સુરક્ષિત બાયો સિક્યૉર એન્વાયર્નમેન્ટ ઊભું કરવા ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)ની મદદ માગી છે. ઝિમ્બાબ્વેની ટીમ ૨૦ ઑક્ટોબરે પાકિસ્તાન પહોંચશે અને બન્ને દેશો વચ્ચે ટી૨૦ અને વન-ડે ઇન્ટરનૅશનલ મૅચ રમાશે. જોકે આ ટુર્નામેન્ટ રમવા માટે રાવલપિંડી અથવા મુલતાન એ બેમાંથી એકની પસંદગી કરવાની હજી બાકી છે.