22 July, 2019 10:41 AM IST | મુંબઈ
વેસ્ટ ઇન્ડીઝ ટૂર માટે ગઈ કાલે મુંબઈમાં આયોજિત પ્રેસ કૉન્ફરન્સમાં ભારતીય ટીમની જાહેરાત થઈ હતી. પ્રેસ કૉન્ફરન્સમાં ચીફ સિલેક્ટરે કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોની અત્યારે સિલેક્શન માટે ઉપલબ્ધ નથી. તેમણે જણાવ્યું કે ‘વર્લ્ડ કપ ૨૦૧૯ સુધી મહેન્દ્ર સિંહ ધોનીને લઈને અમારા અલગ-અલગ પ્લાન હતા અને હવે વર્લ્ડ કપ પછી અમે ઇચ્છીએ છીએ કે રિષભ પંત જેવા યંગ ખેલાડીઓને તક મળે.’
મુખ્ય પસંદગીકારને પૂછવામાં આવ્યું કે શું ધોનીએ પોતાની છેલ્લી ઇન્ટરનૅશનલ મૅચ રમી લીધી છે અને શું તે આગળ રમવાનું ચાલુ રાખશે? આનો જવાબ આપતાં પ્રસાદે કહ્યું કે ‘હું આ પ્રશ્નનો જવાબ ન આપી શકું. આ નિર્ણય હવે ધોનીએ કરવાનો છે.’
એમએસકે પ્રસાદને પૂછવામાં આવ્યું કે શું તેમની ધોની સાથે આગળના પ્લાનને લઈને ચર્ચા થઈ? આ વિશે પ્રસાદે કહ્યું કે ‘હા, મારી ધોની સાથે આ વિશે વાત થઈ છે. રિટાયરમેન્ટ એક પર્સનલ નિર્ણય છે અને ધોની જેવા દિગ્ગજ જાણે છે કે તેમણે ક્રિકેટને ક્યારે અલવિદા કહેવાનું છે, પરંતુ સિલેક્શન કમિટી પાસે પોતાના રોડમૅપ છે અને તે યુવાઓને તક આપવાનું ચાલુ રાખશે.’