19 June, 2020 11:57 AM IST | Chennai | Agencies
રવિચંદ્રન અશ્વિન
ભારતીય ક્રિકેટ ટીમના એક સફળ બોલર તરીકે નામના મેળવનાર રવિચંદ્રન અશ્વિન પોતાના શરૂઆતના દિવસોમાં મહેન્દ્ર સિંહ ધોનીનું ધ્યાન પોતાના તરફ નહોતો ખેંચી શક્યો. જોકે શરૂઆતના સમયમાં તે આઇપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ વતી પણ રમી ચૂક્યો હતો, પણ તેની સ્કિલને ધોનીએ અદ્ભુત ગણાવી હતી. આ વિશે વાત કરતાં અશ્વિને કહ્યું કે ‘ધોનીએ હંમેશાં કહ્યું છે કે મારી સ્કિલ અદ્ભુત છે અને હું જે કરું છું એ જ પ્રમાણે આગળ વધતો રહું. આઇપીએલ અને ચેન્નઈ સુપર કિંગ્સ એવી જગ્યા છે જ્યાં દરેકને જવું ગમે છે, પણ ધોનીને એ નહોતી ખબર કે અશ્વિન કોણ છે, મૅથ્યુ હેડન કોણ છે, મુરલીધરન કોણ છે? આ વખતે મારા મગજમાં એક જ વાત આવતી કે હું એ લોકોને મારી ગેમ વડે બતાવીશ કે અશ્વિન કોણ છે? મને નથી ખબર કે આ મારો આક્રોશ છે કે મારી મૂર્ખામી, પણ હું આ જ રીતે આગળ વધ્યો. કોઈ પણ મને ચાન્સ આપવા નહોતું માગતું. મેં મનોમન નક્કી કર્યું કે એક દિવસ હું તેમનાથી પણ વધારે સારું રમીને બતાવીશ. ધોની સાથે મારી ક્યારેય વિસ્તારપૂર્વક વાત નથી થઈ. નેટમાં પ્રૅક્ટિસ વખતે તે મુરલીધરના બૉલને પાર્કની બહાર મોકલતો ત્યારે મને લાગતું કે હું મુરલી કરતાં વધારે સારો બૉલ નાખી શકું છું. ચૅલેન્જર્સ ટ્રોફી દરમ્યાન ધોનીનું ધ્યાન મારા તરફ ગયું હતું.’