10 June, 2026 12:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના
આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડ માટેની ભારતીય T20 ટીમમાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની જગ્યાએ પ્રસિદ્ધ ક્રિષ્નાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડની મેડિકલ ટીમ અને ટીમ મૅનેજમેન્ટ વચ્ચેની ચર્ચા બાદ મોહમ્મદ સિરાજને વર્કલોડ મૅનેજમેન્ટ પ્રોગ્રામના ભાગરૂપે આરામ આપવામાં આવ્યો છે. પૂરતી સ્વસ્થતા સુનિશ્ચિત કરવા માટે સાવચેતીનાં પગલાં તરીકે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મુલ્લાંપુરની ટેસ્ટ-મૅચમાં મોહમ્મદ સિરાજે પહેલી ઇનિંગ્સમાં ૯ ઓવરમાં ૨૯ રન આપીને વિકેટલેસ રહ્યો હતો. બીજી ઇનિંગ્સમાં તેણે માત્ર ચાર ઓવર ફેંકીને ૧૧ રન આપીને એક વિકેટ લીધી હતી. પ્રસિદ્ધ ક્રિષ્નાએ આ ટેસ્ટ-મૅચમાં પહેલી ઇનિંગ્સમાં ૧૧ ઓવરમાં ૩૭ રન આપીને ૩ વિકેટ લીધી હતી, જ્યારે બીજી ઇનિંગ્સમાં તેણે ૩ ઓવરમાં ૬ રન જ આપ્યા હતા.
અગાઉ આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડ-ટૂર પર જસપ્રીત બુમરાહને આરામ આપ્યો હોવાથી મોહમ્મદ સિરાજને સ્થાન આપવામાં આવ્યું હતું. એશિયન ગેમ્સની સ્ક્વૉડમાં જસપ્રીત બુમરાહને સ્થાન મળ્યું છે. કર્ણાટકના ૩૦ વર્ષના ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ ૨૦૨૩માં ભારત તરફથી આયરલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામે T20 સિરીઝ રમી હતી. તેણે હજી સુધી પાંચ T20 મૅચમાં ૮ વિકેટ ઝડપી હતી.
ઇંગ્લૅન્ડ-ટૂરની પાંચમાંથી ત્રણ T20 મૅચના સમય બદલાયા
ભારતની ટીમ ૧થી ૧૯ જુલાઈ દરમ્યાન પાંચ T20 અને ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમવા માટે ઇંગ્લૅન્ડ જશે. આ ટૂરની શરૂઆત પાંચ T20 મૅચની સિરીઝથી થશે. ભારતીય સમય અનુસાર અગાઉ આ સિરીઝની મૅચોમાંથી પહેલી, ત્રીજી અને ચોથી મૅચ રાતે ૧૧ વાગ્યે શરૂ થવાની હતી, જ્યારે બીજી અને પાંચમી મૅચ સાંજે સાત વાગ્યાથી રમાવાની હતી.
સ્કાય સ્પોર્ટ્સ (યુકે) અને સોની સ્પોર્ટ્સ નેટવર્ક (ભારત) જેવા બ્રોડકાસ્ટર્સ સાથે ચર્ચા બાદ ત્રણ T20 મૅચના સમય રાતે ૧૧ વાગ્યાને બદલે ૧૦ વાગ્યાથી કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય વ્યુઅરશિપના આંકડા વધારવામાં લેવામાં આવ્યો છે.