સંગકારાએ કર્યા ૧૬૧ રન અને પાકિસ્તાનીઓએ છોડ્યા ૬ કૅચ

22 October, 2011 07:29 PM IST  | 

સંગકારાએ કર્યા ૧૬૧ રન અને પાકિસ્તાનીઓએ છોડ્યા ૬ કૅચ

ગઈ કાલની રમતને અંતે શ્રીલંકાના બીજા દાવમાં પાંચ વિકેટે ૨૯૮ રન હતા. જોકે એણે પ્રથમ દાવની ૧૬ રનની લીડ ઉતારવાની હજી બાકી હતી. ગઈ કાલે ૧૬ ફોરની મદદથી બનાવેલા ૧૬૧ રને નૉટઆઉટ રહેલો સંગકારા આજે કોઈ સાથીની મદદથી જેટલો વધુ ક્રીઝ પર ટકતો જશે એટલી પાકિસ્તાનની જીત મોડી થશે.

સંગકારાએ ગઈ કાલે કરીઅરની ૨૬મી અને સેકન્ડ ઇનિંગ્સની ૧૧મી ટેસ્ટસદી ફટકારી હતી. તેની અને ઓપનર લાહિરુ થિરિમાને (૧૫૯ બૉલમાં ૬૮ રન) વચ્ચે બીજી વિકેટ માટે ૧૫૩ રનની ભાગીદારી થઈ હતી. જોકે આ પાર્ટનરશિપ દરમ્યાન પાકિસ્તાનીઓએ કુલ ચાર કૅચ છોડ્યા હતા.

સંગકારાને યુનુસના હાથે બે જીવતદાન

૨૧ વર્ષનો લેફ્ટી ફાસ્ટ બોલર જુનૈદ ખાન ગઈ કાલે બીજા દાવમાં એક જ વિકેટ લઈ શક્યો હતો. તેની એક ઓવરમાં સતત બે બૉલમાં મોહમ્મદ હાફિઝે ફર્સ્ટ સ્લિપમાં થિરિમાનેના કૅચ છોડ્યા હતા. થોડી વાર પછી સઈદ અજમલના બૉલમાં પણ હાફિઝના હાથે થિરિમાનેને જીવતદાન મળ્યું હતું. સંગકારાને ૬૦ રનના તેના સ્કોર પહેલાં બે જીવતદાન મળ્યા હતા. યુનુસ ખાન પહેલાં જુનૈદના બૉલમાં અને હાફિઝના બૉલમાં સંગકારાનો કૅચ નહોતો પકડી શક્યો.

વહાબ રિયાઝે પણ એક છોડ્યો

રમત બંધ રહી એ પહેલાં સબસ્ટિટ્યુટ વહાબ રિયાઝના હાથે પ્રસન્ના જયવર્દનેને જીવતદાન મળ્યું હતું. આમ, પાકિસ્તાનીઓના હાથે ગઈ કાલના એક દિવસે કુલ ૬ કૅચ છૂટ્યા હતા.