28 July, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જસપ્રીત બુમરાહ
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે ભારતના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વિશે ચોંકાવનારો દાવો કર્યો છે. તે કહે છે, ‘મને લાગે છે કે જસપ્રીત બુમરાહ આગામી ટેસ્ટ-મૅચોમાં રમતો જોવા મળશે નહીં અને કદાચ નિવૃત્તિ પણ લઈ શકે છે. તે તેના શરીર સાથે સંઘર્ષ કરી રહ્યો છે. ધીમી બોલિંગ કરી રહ્યો છે અને આ ટેસ્ટ-મૅચમાં તેણે કોઈ ગતિ બતાવી નથી.’
મોહમ્મદ કૈફ વધુમાં કહે છે, ‘તે એક સ્વતંત્ર વ્યક્તિ છે. જો તેને લાગે કે તે પોતાનું ૧૦૦ ટકા આપી શકતો નથી, દેશ માટે જીતી શકતો નથી, વિકેટ લઈ શકતો નથી તો તે પોતે જ રાજીનામું આપી દેશે. આ મારા દિલની વાત કહી રહ્યો છું. પહેલાં વિરાટ કોહલી ગયો, પછી રોહિત શર્મા ગયો અને રવિચન્દ્રન અશ્વિન હવે નથી. હવે કદાચ બુમરાહ પણ. મને લાગે છે કે તમારે (ક્રિકેટ-ફૅન્સ) તેના વિના ટેસ્ટ-મૅચ જોવાની આદત પાડવી પડશે.’
૨૦૨૪ની શરૂઆતથી જસપ્રીત બુમરાહ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૫૦૦થી વધુ ઓવર ફેંકી ચૂક્યો છે. ઑસ્ટ્રેલિયા ટૂર પર થયેલી પીઠની ઇન્જરી બાદ તે બોલિંગમાં સંઘર્ષ કરી રહ્યો છે.