20 March, 2026 10:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યુઝવેન્દ્ર ચહલ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ના પ્રારંભ પહેલાં ગયા વર્ષની રનર-અપ પંજાબ કિંગ્સ ટીમના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે મોટો ખુલાસો કર્યો છે. એ.બી. ડિવિલિયર્સના યુટ્યુબ શોમાં યુઝી ચહલે કહ્યું હતું કે ‘મેં દારૂ પીવાનું છોડી દીધું છે અને મને એ છોડી દીધાને ૬ મહિનાથી વધુ સમય થઈ ગયો છે. હવે હું ૩૫ વર્ષનો છું. હું વધુ સક્રિય રહેવા માગું છું અને મારી ટીમ માટે મારું ૧૫૦ ટકા યોગદાન આપવા માગું છું. એક સિનિયર ખેલાડી તરીકે હું ઇચ્છું છું કે IPLમાં લોકો મારી પાસેથી શીખે.’
IPL 2025ની ફાઇનલ મૅચમાં હાર વિશે વાત કરતાં યુઝી ચહલે કહ્યું હતું કે ‘હું મારી જાતથી થોડો નિરાશ હતો. મારી પાંસળીમાં ફ્રૅક્ચર થયું અને પછી મારી આંગળીમાં પણ ફ્રૅક્ચર થયું એટલે ફાઇનલમાં હું મારી યોગ્ય લેગ-સ્પિન બોલિંગ કરી શક્યો નહીં. આ વર્ષે હું પહેલાં મારા શરીરનું ધ્યાન રાખવા માગું છું.’
યુઝવેન્દ્ર ચહલ ૧૭૪ મૅચોમાં ૨૨૧ વિકેટ સાથે IPLના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.