26 March, 2026 03:18 PM IST | Bengaluru | Gujarati Mid-day Online Correspondent
એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPL 2026ની ઓપનિંગ સેરેમની યોજાવાની હતી
૨૦૨૬ની આઇપીએલ (IPL 2026) સીઝન ૨૮ માર્ચથી શરૂ થવાની છે. ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (Royal Challengers Bengaluru) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વચ્ચે બેંગલુરુ (Bengaluru))ના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M. Chinnaswamy Stadium) ખાતે રમાશે. સામાન્ય રીતે, દરેક ઇન્ડિયન પ્રિમિયર લીગ (Indian Premier League) સીઝન શરૂ થાય તે પહેલાં વિવિધ રંગીન પ્રદર્શનો સાથે ઓપનિંગ સેરેમની (IPL Opening Ceremony)નું આયોજન કરવામાં આવે છે. જોકે, IPLની ૧૯મી સીઝન માટે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (Board of Control for Cricket in India)એ નિર્ણય લીધો છે કે આ વખતે આઇપીએલ ૨૦૨૬ની કોઈ ઓપનિંગ સેરેમની યોજાશે નહીં.
ગત સિઝન આઇડીએલ ૨૦૨૫ (IPL 2025)માં આરસીબી (RCB)ના ઐતિહાસિક પ્રથમ IPL ટાઇટલ વિજય પછી ગત વર્ષે ૪ જૂન ૨૦૨૫ના રોજ બેંગલુરુમાં થયેલી ભાગદોડમાં ૧૧ નિર્દોષ લોકોના મોત થયા હતા. બીસીસીઆઇ (BCCI)એ હવે તે દુ:ખદ ઘટનામાં મૃત્યુ પામેલાના ૧૧ પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે IPL 2026ની ઓપનિંગ સેરેમનીને રદ કરવાનો નિર્ણય (IPL 2026 Opening Ceremony Cancelled) લીધો છે.
જોકે, BCCI પાસે `પ્લાન B` પણ તૈયાર છે. આ વખતે ઓપનિંગ સેરેમનીને બદલે ભવ્ય સમાપન સમારોહ એટલે કે ક્લોસિંગ સેરેમની યોજાશે. ૨૮ માર્ચે કોઈ ઓપનિંગ સેરેમની નહીં હોય, પરંતુ BCCI સિઝનના અંતે ૩૧ મેના રોજ ભવ્ય સમાપન સમારોહ એટલે કે ક્લોસિંગ સેરેમનીનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યું છે.
BCCI સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું કે, ‘ગયા વર્ષે ૪ જૂને બનેલી દુ:ખદ ઘટનાને કારણે, IPL 2026ના શરૂઆતના દિવસે (બેંગલુરુમાં) કોઈ ઔપચારિક સમારોહ યોજાશે નહીં. 4 જૂન, 2025 ના રોજ થયેલી આ દુર્ઘટનામાં ગુમાવેલા જીવને શ્રદ્ધાંજલિ આપતા, BCCI IPL ની 19મી સીઝનની શરૂઆત નિમિત્તે કોઈપણ સાંસ્કૃતિક અથવા મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરવાનું ટાળી રહ્યું છે. જોકે, BCCI અને IPL ગવર્નિંગ કાઉન્સિલ સમાપન સમારોહ માટે એક ભવ્ય મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યા છે - એટલે કે ફાઇનલના દિવસે (31 મે).’
આ પહેલી વાર નથી જ્યારે BCCIએ કોઈ દુર્ઘટનાને કારણે IPLની ઓપનિંગ સેરેમની રદ કરી હોય. અગાઉ, ૨૦૧૯માં, પુલવામા હુમલા (Pulwama attack) બાદ IPLની ૧૨મી સીઝનની ઓપનિંગ સેરેમની રદ કરવામાં આવી હતી. તે સમયે, ઓપનિંગ સેરેમની માટે ફાળવવામાં આવેલા ભંડોળ શહીદ સીઆરપીએફ (CRPF) સૈનિકોના પરિવારોને દાનમાં આપવામાં આવ્યું હતું.
હવે, આઇપીએલ ૨૦૨૬ને ગણતરીના દિવસો બાકી છે. દરમિયાન BCCIએ જાહેર કર્યું છે કે, ટુંક સમયમાં તેઓ બાકી રહેલી IPL મેચોના સમયપત્રકની જાહેરાત કરશે.