22 May, 2025 07:08 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
બન્ને ટીમના કૅપ્ટનની ફાઇલ તસવીર
ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે વર્તમાન સીઝનની ૬૫મી મૅચના વેન્યુના ફેરફારની પણ જાહેરાત કરી હતી. રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ૨૩ મેએ યોજાનારી મૅચ હવે લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાશે. વરસાદી વાતાવરણને કારણે મૅચ પર અસર થઈ શકે એવી શક્યતાને કારણે આ મૅચ બૅન્ગલોરથી લખનઉમાં શિફ્ટ કરવામાં આવી છે.
આ પહેલાં ૧૭ મેએ બૅન્ગલોર અને કલકત્તા વચ્ચેની મૅચ વરસાદને કારણે રદ રહી હતી. બૅન્ગલોરની ટીમ હવે પોતાની અંતિમ બે ગ્રુપ-સ્ટેજ મૅચ લખનઉના એકાના સ્ટેડિયમમાં જ રમવાની છે. બૅન્ગલોર ૨૭ મેએ લખનઉ સુપર જાયન્ટ્સ સામે પોતાની અને આ સીઝનની પણ અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ રમશે.
તમામ મૅચને વધારાનો એક કલાક ફાળવવામાં આવ્યો
ભારતીય ક્રિકેટ બોર્ડે પોતાના નિવેદનમાં જણાવ્યું કે મંગળવાર (૨૦ મે)થી પ્લેઑફ સ્ટેજ સુધીની તમામ મૅચમાં રમતની પરિસ્થિતિઓ માટે વધારાનો એક કલાક ફાળવવામાં આવ્યો છે. વરસાદની સ્થિતિ વચ્ચે પણ મૅચ રમાવાની સંભાવનાઓમાં વધારો કરવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.