કલકત્તામાં ધોનીને પિચ બનાવનાર ટર્નિંગ વિકેટ ન પણ આપે : ગાવસકર

27 November, 2012 06:26 AM IST  | 

કલકત્તામાં ધોનીને પિચ બનાવનાર ટર્નિંગ વિકેટ ન પણ આપે : ગાવસકર



મહેન્દ્ર સિંહ ધોનીએ વાનખેડેની ટર્નિંગ વિકેટ પર ભારતની બાજી ઊલ્ટી પડી અને ઇંગ્લૅન્ડની ટીમ પહેલાં એના પર સારી બૅટિંગ કર્યા બાદ પોતાના સ્પિનરો મૉન્ટી પનેસર અને ગ્રેમ સ્વૉનના તરખાટથી ચમત્કારિક વિજય મેળવ્યો એમ છતાં પાંચમી ડિસેમ્બરે કલકત્તામાં રમાનારી ત્રીજી ટેસ્ટ માટે પણ ટર્નિંગ વિકેટ માગી એના પ્રત્યાઘાતમાં સુનીલ ગાવસકરે ગઈ કાલે કહ્યું હતું કે ‘કલકત્તાના ઈડન ગાર્ડન્સના પિચ બનાવનારને હું બરાબર ઓળખું છું. તેઓ પોતાને યોગ્ય લાગે એવી જ વિકેટ આપતા હોય છે. ધોની માગે છે એવી પિચ કદાચ તેઓ ન પણ આપે. જો ટર્નિંગ વિકેટ આપશે તો પણ ધોનીને ખાતરી છે કે આપણા સ્પિનરો વાનખેડે કરતાં સારું પર્ફોમ કરશે. જો આ મૅચ જેવી જ નિરાશાજનક બોલિંગ કરશે તો જીતી રહ્યા.’

વાનખેડેની ટેસ્ટમાં પ્રજ્ઞાન ઓઝાએ પાંચ તથા રવિચન્દ્રન અશ્વિન અને હરભજન સિંહે બે-બે વિકેટ લીધી હતી. ઓઝા અને અશ્વિને દોઢસો-દોઢસો જેટલા રન અને ભજીએ ૭૪ રન આપ્યા હતા.

ધોનીએ ગઈ કાલના પરાજય પછી ભારતીય સ્પિનરોના પર્ફોમન્સ વિશે નિરાશા વ્યક્ત કરવાની સાથે કહ્યું હતું કે ‘કલકત્તામાં પણ ટર્નિંગ વિકેટ મળવી જોઈએ. આપણી એમાં જ તો ખરી તાકાત છે. ટૉસ જીતીએ એવી આશા રાખવી અને પછી એ ફળતાં ફ્લૅટ વિકેટ પર ત્રણથી ચાર દિવસ રમતા રહેવાનો શું મતલબ? ટેસ્ટક્રિકેટમાં પડકારો ઝીલવા જોઈએ અને ભારતમાં ટેસ્ટમૅચો ટર્નિંગ વિકેટો પર જ રમાવી જોઈએ.’

ભારત ગઈ કાલે બીજા દાવમાં ૧૪૨ રનના ટોટલ પર ઑલઆઉટ થયું હતું અને ઇંગ્લૅન્ડને જીતવા ૫૭ રનનો ટાર્ગેટ મળ્યો હતો. લેફ્ટી સ્પિનર મૉન્ટી પનેસરે ૮૧ રનમાં છ અને ઑફ સ્પિનર ગ્રેમ સ્વૉને ૪૩ રનમાં ચાર વિકેટ લીધી હતી. પ્રથમ દાવમાં પનેસરે પાંચ અને સ્વૉને ચાર શિકાર કર્યા હતા. એ રીતે આખી મૅચમાં ૨૦માંથી ૧૯ વિકેટ આ બન્ને સ્પિનરોએ લીધી હતી.

ઇંગ્લૅન્ડે વિના વિકેટે ૫૮ રન બનાવીને મૅચ જીતી લીધી હતી. નિક કૉમ્પ્ટનના અણનમ ૩૦ અને ઍલસ્ટર કુકના અણનમ ૧૮ રન હતા. ૧૦ રન એક્સ્ટ્રામાં બન્યા હતા. પ્રથમ દાવમાં ૧૮૬ રન બનાવનાર કેવિન પીટરસનને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.