07 July, 2026 08:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝમાંથી સંજુ સૅમસન સહિત સાત ખેલાડીઓ આઉટ
ભારતીય T20 ટીમ આગામી ૨૩, ૨૫ અને ૨૬ જુલાઈએ હરારેમાં ઝિમ્બાબ્વે સામે ત્રણ મૅચની T20 સિરીઝ રમશે. આ સિરીઝ માટે ગઈ કાલે સાંજે ૧૫ સભ્યોની સ્ક્વૉડ જાહેર કરવામાં આવી હતી. આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડ માટે પસંદ કરવામાં આવેલી ૧૬ સભ્યોની ટીમ અને ઝિમ્બાબ્વે માટેની ૧૫ સભ્યો ટીમમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે.
હાલની ટીમમાં સામેલ સંજુ સૅમસન, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, પ્રસિદ્ધ ક્રિષ્ના, અર્શદીપ સિંહ, હર્ષિત રાણાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી.
ઝિમ્બાબ્વે જેવી નબળી ટીમ સામે આ ખેલાડીઓને એક રીતે આરામ આપીને નવા ખેલાડીઓનો અજમાવવામાં આવી રહ્યા છે. એમના સ્થાને હર્ષ દુબે, યશ ઠાકુર, અશોક શર્મા, મયંક યાદવ, પ્રભસિમરન સિંહ, રિન્કુ સિંહ ટીમનો ભાગ બન્યા છે.
ઝિમ્બાબ્વે માટેની T20 સ્કવૉડ : શ્રેયસ ઐયર (કૅપ્ટન), તિલક વર્મા (વાઇસ-કૅપ્ટન), વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન, અભિષેક શર્મા, શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, રિન્કુ સિંહ, હર્ષ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ, યશ ઠાકુર, અશોક શર્મા, મયંક યાદવ અને પ્રભસિમરન સિંહ.
ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝમાં શિવમ દુબેની એન્ટ્રી
ઇંગ્લૅન્ડ સામેની આગામી ત્રણ વન-ડે મૅચની સિરીઝમાં મુંબઈના ઑલરાઉન્ડર શિવમ દુબેને સ્થાન મળ્યું છે. તેને ઇન્જર્ડ ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીને સ્થાને રિપ્લેસમેન્ટ ખેલાડી જાહેર કરવામાં આવ્યો છે. ઑગસ્ટ ૨૦૨૪ સુધી શિવમ દુબે ભારત માટે ચાર વન-ડે મૅચ રમ્યો હતો.