પહેલી ટી૨૦ મૅચમાં પ્રદૂષણને ભૂલીને જીતવાનો પ્રયાસ કરશે ભારત-બંગલા દેશ

03 November, 2019 12:21 PM IST  |  નવી દિલ્હી

પહેલી ટી૨૦ મૅચમાં પ્રદૂષણને ભૂલીને જીતવાનો પ્રયાસ કરશે ભારત-બંગલા દેશ

ભારત અને બંગલા દેશ વચ્ચે ત્રણ ટી૨૦ મૅચની સિરીઝની પહેલી મૅચ આજે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ સિરીઝમાં બન્ને ટીમ એકબીજાને માત આપી પોતાની જીતનું ખાતું ખોલાવવાનો પ્રયાસ કરશે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા, જ્યારે શાકિબની ગેરહાજરીમાં મહમુદુલ્લાહ બંગલા દેશની ટીમને લીડ કરશે.
થોડા દિવસ અગાઉ વીવીએસ લક્ષ્મણે ભારતીય ક્રિકેટ ટીમને હરાવવાની સુવર્ણ તક બંગલા દેશ પાસે હોવાની વાત કરી હતી, પણ સાથે આ સિરીઝ ભારત ૨-૧થી જીતશે એવી ભવિષ્યવાણી પણ કરી હતી. શાકિબ-અલ-હસનની ગેરહાજરી બંગલા દેશની ટીમને નડી શકે છે. આ ગેરહાજરી સામે નવી દિલ્હીના હાલના વાતાવરણને લીધે પણ પ્લેયરોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમણે પ્રૅક્ટિસ-સેશનમાં પણ માસ્ક પહેરીને ભાગ લીધો હતો. જોકે એમ છતાં બન્ને ટીમ આ વાતાવરણની તકલીફને બાજુએ મૂકીને મૅચ જીતવા તરફ ધ્યાન આપશે એ વાત સ્વાભાવિક છે. ભારતની છેલ્લી સાઉથ આફ્રિકા સામેની ટી૨૦ સિરીઝ ૧-૧થી બરાબર પર રહી હતી, પણ આ સિરીઝ જીતવાનો એ ભરપૂર પ્રયાસ કરશે.

bangladesh new delhi