અશ્વિન-ઐયરે આબરૂ સાચવી

26 December, 2022 01:34 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૭૧ રનની અતૂટ ભાગીદારીથી ભારતે બંગલાદેશ સામેનો પ્રથમ ટેસ્ટ-પરાજય માંડ-માંડ ટાળ્યો : ૨-૦થી કરી ક્લીન સ્વીપ : વિનિંગ ફોર ફટકારનાર આર. અશ્વિન જીત્યો મૅચનો પુરસ્કાર અને પુજારા જીતી ગયો સિરીઝનો અવૉર્ડ

ગઈ કાલની જીતના સૂત્રધાર અશ્વિનને હેડ-કોચ દ્રવિડ પાસેથી અને શ્રેયસને બૅટિંગ-કોચ વિક્રમ રાઠોર પાસેથી ખૂબ શાબાશી મળી હતી (ઉપર). પછીથી ભારતીય ખેલાડીઓને ટ્રોફી સોંપાઈ ત્યારે વચ્ચે જયદેવ ઉનડકટને ઊભા રહીને ટ્રોફી લિફ્ટ કરવાનું ગૌરવ અપાયું હતું. તસવીર એ.પી./એ.એફ.પી.

ટેસ્ટ-ક્રિકેટના નવમા રૅન્કવાળા બંગલાદેશની જે ઘાતક બોલિંગ સામે નંબર-ટૂ ભારતના ટૉપ-ઑર્ડરના બૅટર્સ સારું રમવામાં નિષ્ફળ ગયા તેમની સામે ગઈ કાલે આઠમા નંબરે રમેલા શ્રેયસ ઐયર (૨૯ અણનમ, ૪૬ બૉલ, ૭૮ મિનિટ, ચાર ફોર) અને ખાસ કરીને નવમા નંબરના રવિચન્દ્રન અશ્વિન (૪૨ અણનમ, ૬૨ બૉલ, ૭૨ મિનિટ, એક સિક્સર, ચાર ફોર)ની જોડીએ ૧૦૫ બૉલમાં ૭૧ રનની અતૂટ ભાગીદારીથી ભારતને પરાજયની નાગચૂડમાંથી તો છોડાવ્યું જ હતું, વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)માં બીજું સ્થાન પાકું કરવામાં મદદ કરી હતી. ભારત હવે ઑસ્ટ્રેલિયા સામે રમાનારી ચારમાંથી ત્રણ ટેસ્ટ જીતશે તો ડબ્લ્યુટીસીની ફાઇનલમાં પહોંચી શકશે.

ભારતે બે મૅચની ટેસ્ટ-સિરીઝમાં ૨-૦થી ક્લીન સ્વીપ કરી છે. ભારતને આ વિજય સાથે ૧૨ પૉઇન્ટ મળ્યા છે. ભારત જો આ મૅચ હારી ગયું હોત તો બંગલાદેશ સામે ટેસ્ટમાં એની પહેલી હાર ગણાત.

અશ્વિનની ટી૨૦ જેવી ફટકાબાજી

ગઈ કાલે ટેસ્ટનો ચોથો દિવસ હતો. શનિવારના ત્રીજા દિવસની રમતના અંતે ભારતનો સ્કોર ૪ વિકેટે ૪૫ રન હોવાથી બીજા માત્ર ૧૦૦ રન બનાવવાના હતા, પરંતુ ચોથા ક્રમે આવીને સારું રમી રહેલા અક્ષર પટેલે (૩૪ રન, ૬૯ બૉલ, ૮૮ બૉલ, ચાર ફોર) ગઈ કાલે સ્પિનર મેહદી હસન મિરાઝ (૧૯-૪-૬૩-૫)ના બૉલમાં વિકેટ ગુમાવતાં ભારત ૭/૭૪ના સ્કોર સાથે મોટી મુસીબતમાં મુકાઈ ગયું હતું અને પરાજય નજીક લાગી રહ્યો હતો, પરંતુ નવમા નંબરે રમવા આવેલો અશ્વિન બેનમૂન અણનમ ઇનિંગ્સ રમ્યો હતો. અશ્વિને ભારતને સૌથી ડેન્જરસ બોલર મેહદી મિરાઝની ઓવરમાં ફટકાબાજી કરીને વિજય અપાવ્યો હતો. અશ્વિને તેની એ ઓવરમાં સિક્સર માર્યા બાદ ઉપરાઉપરી બે ફોર ફટકારી હતી. તેણે વિનિંગ ફોર ફટકારીને સૌકોઈને ચોંકાવી દીધા હતા.

બીજા દાવમાં ભારતનો મોટા ભાગનો ટૉપ અને મિડલ ઑર્ડર ફ્લૉપ રહ્યો હતો ઃ કૅપ્ટન કે. એલ. રાહુલ (બે રન), શુભમન ગિલ (૭ રન), ચેતેશ્વર પુજારા (૬ રન), વિરાટ કોહલી (એક રન), જયદેવ ઉનડકટ (૧૩ રન) અને રિષભ પંત (૯ રન). બાકીના બે બૅટર્સ ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજે બૅટિંગમાં આવવાની જરૂર જ નહોતી પડી.

પુજારાના ૨૨૨ રન હાઇએસ્ટ

મીરપુરની આ લો-સ્કોરિંગ ટેસ્ટમાં પહેલા દાવમાં બંગલાદેશના ૨૨૭ રન સામે ભારતે ૩૧૪ રન બનાવીને ૮૭ રનની લીડ લીધી હતી. બીજી ઇનિંગ્સમાં બંગલાદેશે ૨૩૧ રન બનાવીને ભારતીય ટીમને ૧૪૫ રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે ભારતે ૪૭ ઓવરમાં ૭ વિકેટે મેળવી લીધો હતો. અશ્વિનને મૅન ઑફ ધ મૅચનો અને સિરીઝમાં સૌથી વધુ ૨૨૨ રન બનાવનાર ચેતેશ્વર પુજારાને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર અપાયો હતો. સ્પિનર મિરાઝની ૧૧ વિકેટ સિરીઝમાં હાઇએસ્ટ હતી. ભારતીયોમાં કુલદીપ યાદવ અને અક્ષર પટેલની ૮-૮ વિકેટ સૌથી વધુ હતી.

18
ભારત ગઈ કાલે એશિયામાં સતત આટલામી ટેસ્ટ-સિરીઝ જીત્યું. અગાઉ છેક ૨૦૧૨માં ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે થયેલી હાર બાદ ભારત અપરાજિત રહ્યું છે જે એક પ્રકારે એશિયન ચૅમ્પિયન તરીકેનો રેકૉર્ડ છે.

sports news sports indian cricket team cricket news test cricket shreyas iyer ravichandran ashwin