26 May, 2020 10:07 AM IST | New Delhi | Agencies
હરભજન સિંહ
હરભજન સિંહ જુલાઈમાં ૪૦ વર્ષનો થઈ રહ્યો છે, પરંતુ તે હજી પણ ઇન્ડિયા માટે ટી૨૦ ઇન્ટરનૅશનલમાં રમવા તૈયાર છે. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં તેનો પર્ફોમન્સ ખૂબ જ સારો છે. આઇપીએલમાં ૧૫૦ વિકેટ લેવાની સાથે તે સૌથી વધુ વિકેટ લેનાર લિસ્ટમાં ત્રીજા ક્રમે છે. તે છેલ્લે ૨૦૧૬માં એશિયા કપમાં ટી૨૦ ફૉર્મેટમાં રમ્યો હતો. ઇન્ડિયા માટે રમવા વિશે વાત કરતાં હરભજને કહ્યું હતું કે ‘હું તૈયાર છું. આઇપીએલમાં બોલિંગ કરવી ખૂબ મુશ્કેલ છે, કારણ કે ગ્રાઉન્ડ નાનાં હોય છે અને દુનિયાના બેસ્ટ બૅટ્સમૅન એમાં એકસાથે રમતા હોય છે. તેમની સામે આઇપીએલમાં બોલિંગ કરવી ખૂબ મુશ્કેલ છે અને જો તમે એમાં સારું પર્ફોર્મ કરી શકતા હો તો ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં તો કરી જ શકો છો. મેં ખૂબ જ મહત્ત્વના સમયે પાવરપ્લે અને મિડલ ઓવર્સમાં બોલિંગ કરીને વિકેટ લીધી છે.’
આઇપીએલમાં સારું પર્ફોર્મ કરી રહ્યો હોવા છતાં સિલેક્ટર્સ તેને પસંદ નથી કરતા એનાથી નારાજ હરભજને કહ્યું હતું કે ‘તેઓ મારી બાજુ જોતા પણ નથી, કારણ કે તેમને એવું લાગે છે કે હું ખૂબ જ ઘરડો થઈ ગયો છું તેમ જ હું ડોમેસ્ટિક ક્રિકેટ પણ નથી રમી રહ્યો. હું આઇપીએલમાં સારું પર્ફોર્મ કરી રહ્યો છું અને વિકેટ પણ લઈ રહ્યો છું. મારી પાસે પુરાવા માટે મારા રેકૉર્ડ્સ પણ છે એમ છતાં તેઓ છેલ્લાં ચાર-પાંચ વર્ષથી મારી તરફ નજર સુધ્ધાં નથી કરી રહ્યા.’