25 July, 2020 11:50 AM IST | New Delhi | Agencies
કિરણ રિજિજુ
ભારતના કેન્દ્રીય ખેલપ્રધાન કિરણ રિજિજુએ આશા વ્યક્ત કરી છે કે ભારતમાં સ્પોર્ટ્સ ઇવેન્ટ સપ્ટેમ્બર-ઑક્ટોબરથી શરૂ થશે. માર્ચ મહિનાથી ભારતમાં અને વિશ્વભરમાં કોરોનાને લીધે સ્પોર્ટ્સ ઇવેન્ટ રદ કરવામાં આવી છે. કૉમનવેલ્થ દેશોમાં થયેલી ગ્લોબલ ફોરમમાં વાત કરતાં કિરણ રિજિજુએ કહ્યું કે ‘કૉમનવેલ્થ ઑપરેશન હોવાને લીધે આપણે દરેક સમસ્યામાં સાથે ઊભા રહેવું જોઈએ. બધા દેશો સાથે મળીને અહીં ઊભા રહેવાનો મને ગર્વ છે. અન્ય દેશોના મિનિસ્ટરોએ જે મુદ્દા અહીં ઊભા કર્યા છે, ભારતના પણ એ જ મુદ્દા છે. આ કપરા સમયમાં અમે ઘણું નવું શીખીને આગળ વધવા માગીએ છીએ અને લોકોને પણ એનાથી લાભ થાય એવું ઇચ્છીએ છીએ. કેટલાક પ્રતિબંધ સાથે સરકારે સ્પોર્ટ્સ ઇવેન્ટને મંજૂરી આપી છે અને એને માટે ખાસ ગાઇડલાઇન પણ ઇશ્યુ કરી છે. મને એ વાત જણાવતાં પણ ખુશી થાય છે કે ઑલિમ્પિક માટેની સુવિધા પણ શરૂ થઈ ચૂકી છે. મેં દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ખેલપ્રધાનો સાથે વાત કરી છે અને તેમને સરકારી નિયમોને ધ્યાનમાં રાખીને રમતગમત ધીમે-ધીમે શરૂ કરવાની જાણકારી આપી છે. મને આશા છે કે સપ્ટેમ્બર-ઑક્ટોબર સુધીમાં ભારતમાં ઇવેન્ટ શરૂ કરી દેવામાં આવશે.’