09 July, 2024 10:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
T20 વર્લ્ડ ચૅમ્પિયન ટીમ
ભારતીય ક્રિકેટ બોર્ડે T20 વર્લ્ડ કપ 2024 જીતનાર ભારતીય ટીમને ૧૨૫ કરોડ રૂપિયાની ઐતિહાસિક પ્રાઇઝ મનીની જાહેરાત કરી હતી. આ રકમ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફમાં કેવી રીતે વહેંચવામાં આવશે એના વિશે કેટલાક રિપોર્ટ સામે આવ્યા છે.
રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત ભારતીય ટીમના ૧૫ ખેલાડીઓને પાંચ-પાંચ કરોડ રૂપિયા મળવાના છે. એક પણ મૅચ રમવાની તક નથી મળી તેવા સંજુ સૅમસન, યુઝવેન્દ્ર ચહલ અને યશસ્વી જાયસવાલ પણ આ લિસ્ટમાં સામેલ છે. રિઝર્વ ખેલાડીઓ રિન્કુ સિંહ, શુભમન ગિલ, ખલીલ અહમદ અને અવેશ ખાન તથા સિલેક્શન કમિટીના સભ્યોને પણ ૧-૧ કરોડ મળશે.
હેડ કોચ રાહુલ દ્રવિડ ઉપરાંત બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ કોચને અઢી-અઢી કરોડ રૂપિયા પ્રાઇઝ મની મળશે. આ સિવાય બૅકરૂમ સ્ટાફ મેમ્બર્સને પણ બે કરોડ રૂપિયા આપવામાં આવશે. કુલ ૩૬ લોકો વચ્ચે ૧૨૫ કરોડની ઐતિહાસિક પ્રાઇઝ મની વહેંચવામાં આવશે.
ટૂરિઝમ અસોસિએશન ઑફ મૉલદીવ્ઝ અને એના માર્કેટિંગ અને પબ્લિક રિલેશન્સ કૉર્પોરેશને હાલમાં T20 વર્લ્ડ ચૅમ્પિયન બનેલી ભારતીય ક્રિકેટ ટીમને વિજયની ઉજવણી કરવા માટે તેમના દેશમાં આમંત્રણ આપ્યું છે. ભારતીય ટીમના ખેલાડીઓ વર્લ્ડ કપ બાદ હાલમાં ફૅમિલી સાથે સમય વિતાવી રહ્યા છે. એક અધિકારીએ કહ્યું હતું કે મૉલદીવ્ઝ માટે ભારતીય ક્રિકેટ ટીમનું સ્વાગત કરવું અને તેમની જીતની ખુશીનો ભાગ બનવું એ ખૂબ જ સન્માનની વાત હશે.