શ્રીકાંત અને માંજરેકર વચ્ચે ગરમાગરમી, જાણો શા માટે...

29 October, 2020 05:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શ્રીકાંત અને માંજરેકર વચ્ચે ગરમાગરમી, જાણો શા માટે...

ફાઈલ ફોટો

પૂર્વ મુખ્ય પસંદગીકાર અને ક્રિકેટર કૃષ્ણમનચારી શ્રીકાંતે (Krishnamachari Srikkanth) ક્રિકેટરથી કૉમેન્ટેટર બનેલા સંજય માંજરેકર(Sanjay Manjrekar) પર નિશાન સાધ્યું છે. માંજરેકરે કેએલ રાહુલ(KL Rahul)ને ઑસ્ટ્રેલિયા પ્રવાસ (Australian Tour) માટે ભારતીય ટીમમાં સામેલ કરવા પર પ્રશ્ન કરતા આ બંને આમને-સામને આવ્યા છે.

માંજરેકરે કહ્યું હતુ કે આ એક ખોટી પરંપરા ચાલુ થઈ રહી છે, જ્યારે કોઈ ખેલાડીને આઈપીએલમાં પ્રદર્શનના આધાર પર ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, રણજી ટ્રોફી રમનારા ખેલાડીઓ માટે આ ઘણું નિરાશાજનક છે. શ્રીકાંત માંજરેકરની આ વાતથી ઘણા નારાજ જોવા મળ્યા. તેમણે પોતાની યૂટ્યૂબ ચેનલ ‘ચીકી ચીકા’માં કહ્યું કે, “આ સંજય માંજરેકરનું કામ છે કે તે પ્રશ્ન પુછે તો તેને છોડી જ દો.

શ્રીકાંતે કહ્યું, ટેસ્ટ ક્રિકેટમાં કેએલ રાહુલને સામેલ કરવા પર પ્રશ્ન? તેણે ટેસ્ટ ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. હું ફક્ત એ માટે કોઈ વાતથી સહમત ના થઈ શકુ કે સંજય માંજરેકરે આના પર પ્રશ્ન પુછ્યો છે. મને નથી લાગતુ કે હું આનાથી સંમત થઈ શકુ છું. તમારે ફક્ત વિવાદ પેદા કરવા માટે કોઈ પ્રશ્ન ના ઉઠાવવો જોઇએ. કેએલ રાહુલે દરેક ફૉર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. એકવાર તેનો ટેસ્ટ રેકૉર્ડ જુઓ. રાહુલે ભારત માટે 36 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 5 સદી અને 11 હાફ સેન્ચ્યુરીની મદદથી 2006 રન બનાવ્યા છે. સંજય માંજરેકર બેકારની વાત કરી રહ્યા છે. હું આનાથી સહમત નથી.

તેમણે ઉમેર્યું કે, રાહુલના પ્રદર્શનમાં નિરંતરતાનો અભાવ હોઈ શકે છે, પરંતુ આ એજ રાહુલ છે જેણે ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું અને સદી લગાવી. તે ઝડપી બોલિંગ સામે એક સારો ખેલાડી છે. એ વાત સમજો, તે ઝડપી બોલિંગ સામે ઘણું સારું રમે છે. સંજય માંજરેકર, તમે બૉમ્બેથી આગળ વિચારી નથી શકતા. આ જ સમસ્યા છે. અમે સાચી વાત કરી રહ્યા છીએ. માંજરેકર બૉમ્બે સિવાય વિચારી ના શકે. માંજરેકર જેવા લોકો માટે બધુ બૉમ્બે જ છે, બૉમ્બે અને બૉમ્બે. તેમણે બૉમ્બેથી આગળ વિચારવું જોઇએ.

kl rahul sanjay manjrekar cricket news