17 July, 2024 09:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાર્દિક પંડ્યા
સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા ૨૭ જુલાઈથી શ્રીલંકા સામે શરૂ થનારી ત્રણ મૅચની T20 ક્રિકેટ સિરીઝમાં ભારતનું નેતૃત્વ કરશે. ભારતીય ક્રિકેટ બોર્ડના સૂત્રએ જણાવ્યું હતું કે પંડ્યા T20 સિરીઝમાં કૅપ્ટન રહેશે, જ્યારે અંગત કારણસર તે ઑગસ્ટમાં યોજાનારી ત્રણ મૅચની વન-ડે સિરીઝ રમશે નહીં. નિયમિત કૅપ્ટન રોહિત શર્માને આ વિશે જાણકારી આપવામાં આવી છે. અહેવાલો અનુસાર હેડ કોચ ગૌતમ ગંભીર રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને આરામ આપવાના મૂડમાં નથી. એથી આ સ્ટાર ક્રિકેટરો વન-ડે સિરીઝમાં રમતા જોવા મળી શકે છે. ટીમની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
ભારતીય ક્રિકેટ બોર્ડની આ સલાહ માનશે સ્ટાર ક્રિકેટર્સ?
ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે સ્પષ્ટ કહ્યું છે કે ‘જે ઇન્ટરનૅશનલ ક્રિકેટ નહીં રમતા હોય એવા તમામ સ્ટાર ક્રિકેટરોને ડોમેસ્ટિક ક્રિકેટ રમવું પડશે. રોહિત, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને એમાંથી મુક્તિ આપવામાં આવી છે. ક્રિકેટ બોર્ડ ઇચ્છે છે કે બાકીના તમામ ટેસ્ટ-નિષ્ણાત ક્રિકેટર્સ ઑગસ્ટમાં દુલીપ ટ્રોફીની ઓછામાં ઓછી એક મૅચ રમે.’