ઇંગ્લૅન્ડ જવા માટે હાફિઝ અને રિયાઝની બીજી ટેસ્ટ નેગેટિવ જોઈશે:વસીમ ખાન

28 June, 2020 06:49 PM IST  |  Mumbai Desk | Agencies

ઇંગ્લૅન્ડ જવા માટે હાફિઝ અને રિયાઝની બીજી ટેસ્ટ નેગેટિવ જોઈશે:વસીમ ખાન

વસીમ ખાન

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે અને ઇંગ્લૅન્ડ ક્રિકેટ બોર્ડે ગઈ કાલે એ વાતની પુષ્ટિ કરી હતી કે પાકિસ્તાનના ૨૦ પ્લેયરો અને ૧૧ સપોર્ટ-સ્ટાફ ઇંગ્લૅન્ડ માટે રવાના થઈ ગયા છે અને આજે એટલે કે રવિવારે તેઓ ઇંગ્લૅન્ડ પહોંચશે. મૅન્ચેસ્ટર પહોંચનારા પ્લેયરોને પહેલાં ક્વૉરન્ટીન કરવામાં આવશે. વળી સામા પક્ષે પાકિસ્તાનના જે પ્લેયર કોરોના-પૉઝિટિવ આવ્યા છે તેમને આ ટૂરથી દૂર રાખવામાં આવ્યા છે. એમાં પણ કેટલાક પ્લેયરો પોતાની કોરોના-ટેસ્ટ નેગેટિવ આવી હોવાનો દાવો કરી ચૂક્યા છે. આ સંદર્ભે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ વસીમ ખાને કહ્યું કે ‘આ ચૅલેન્જિંગ અને અભૂતપૂર્વ પ્રોસેસ છે. બીજા રાઉન્ડમાં જે પ્લેયરોની ટેસ્ટિંગ કરવામાં આવી એમાંથી ૨૦ પ્લેયરો અને ૧૧ સપોર્ટ-સ્ટાફને ઇંગ્લૅન્ડ મોકલવામાં આવ્યા છે. તેઓ રવિવારે ત્યાં પહોંચી જશે. કોરોનાના કેસ વધી રહ્યા હોવાને કારણે કેટલાક પ્લેયરો પોતાના હોમટાઉનમાં ટેસ્ટિંગ કરાવી રહ્યા છે. પીસીબીની મેડિકલ પૅનલે પણ ઘણું સારું કામ કર્યું છે. ઑગસ્ટ મહિનામાં જે પહેલી ટેસ્ટ સિરીઝ રમાવાની છે એને માટે પ્લેયરો ઉપલબ્ધ થયા છે એનાથી મિસબાહ પણ સંતુષ્ટ છે. પ્રાપ્ત થયેલી નવી સૂચનાઓને ધ્યાનમાં રાખીને તે પ્લેયરોની ટ્રેઇનિંગ અને પ્રૅક્ટિસ પર ધ્યાન આપશે. જે પ્લેયરો આ ટૂરમાં સામેલ નથી થઈ શક્યા તેમનું ધ્યાન રાખવાની પીસીબી બાંયધરી આપે છે. જ્યાં સુધી કોઈ પ્લેયરનો બે વાર કોરોના-નેગેટિવનો રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી તેમને ઇંગ્લૅન્ડની આ ટૂરમાં સામેલ નહીં કરાય. હું જાણું છું કે મોહમ્મદ હાફિઝ અને વહાબ રિયાઝ વ્યક્તિગત રીતે કોરોના-ટેસ્ટિંગ કરાવી ચૂક્યા છે અને તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જો તેમનો વધુ એક રિપોર્ટ નેગેટિવ આવશે તો પીસીબીની ગાઇડલાઇન્સ પ્રમાણે તેઓ ઇંગ્લૅન્ડ સામે રમનાર સ્ક્વૉડમાં સ્થાન પામી શકે છે.’

sports news sports cricket news pakistan england