ક્રિકેટને અલવિદા અને કોહલીનો આભાર, હવે બધો સમય પરિવાર માટે : ડિવિલિયર્સ

20 November, 2021 08:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આધુનિક ક્રિકેટના બેતાજ બાદશાહ એબીડીએ તમામ ફૉર્મેટના ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ

થોડા સમય પહેલાં એક કમર્શિયલ ઇવેન્ટ વખતે ગ્લૅન મૅક્સવેલની આજુબાજુ બેસીને મજાકના મૂડમાં એ. બી. ડિવિલિયર્સ અને વિરાટ કોહલી.

આધુનિક ક્રિકેટના શહેનશાહ એબી ડિવિલિયર્સે ત્રણ વર્ષ પહેલાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી હવે ગઈ કાલે પ્રોફેશનલ ક્રિકેટ સહિત તમામ ફૉર્મેટના ક્રિકેટમાંથી પણ રિટાયરમેન્ટ લઈ લીધું હતું. તેણે પોતાની કરીઅરને વધુ સંગીન બનાવવા બદલ નજીકના મિત્ર વિરાટ કોહલીનો ખાસ આભાર માન્યો છે અને કહ્યું છે કે ‘હું હવે મારા પરિવારને બધો સમય આપવા માગું છું.’
સાઉથ આફ્રિકાનો ક્રિકેટ-લેજન્ડ ડિવિલિયર્સ ૧૭ વર્ષની શાનદાર કરીઅર દરમ્યાન ‘૩૬૦ ડિગ્રી બૅટિંગ’ (એક પગના ઘૂંટણિયે બેસીને ફટકારેલો શૉટ) માટે જાણીતો હતો. આ ૧૭ વર્ષમાં બૅટિંગમાં મોટા ભાગે તેનું પ્રભુત્વ રહ્યું હતું. એબીડી તરીકે જાણીતા ડિવિલિયર્સ ૧૧૪ ટેસ્ટ, ૨૨૮ વન-ડે અને ૭૮ ટી૨૦ ઇન્ટરનૅશનલ્સ ઉપરાંત ઑસ્ટ્રેલિયાની બિગ બૅશ તેમ જ પાકિસ્તાન સુપર લીગ અને બંગલા દેશ પ્રીમિયર લીગ સહિત ઘણી લીગમાં રમ્યો હતો, પરંતુ આઇપીએલની રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)ની ટીમ તેને સૌથી પ્રિય રહી છે. વિરાટ કોહલીએ તાજેતરમાં જ આરસીબીની કૅપ્ટન્સી છોડી છે.
આઇપીએલના બૅટર્સમાં છઠ્ઠે
ડિવિલિયર્સ આ વર્ષની આઇપીએલમાં રમ્યો હતો, જેમાં તેણે ૧૫ મૅચમાં ૩૧૩ રન બનાવ્યા હતા. તેણે આઇપીએલમાં ૧૪ વર્ષની કરીઅરમાં ૧૮૪ મૅચ રમીને ૫૧૬૨ રન બનાવ્યા હતા અને તમામ બૅટર્સમાં (કોહલી, શિખર, રોહિત, રૈના, વૉર્નર પછી) છઠ્ઠા નંબરે છે. તેના ૫૧૬૨ રનમાં ૩ સેન્ચુરી, ૪૦ હાફ સેન્ચુરી, ૨૫૧ સિક્સર અને ૪૧૩ ફોરનો સમાવેશ હતો.
કોનો-કોનો આભાર માન્યો?
એ. બી. ડિવિલિયર્સનું પૂરું નામ અબ્રાહમ બેન્જામિન ડિવિલિયર્સ છે. તેણે પોતાની નિવૃત્તિને લગતા નિવેદનમાં લખ્યું છે કે ‘હું નાનપણમાં બૅકયાર્ડમાં મારા મોટા ભાઈઓ સાથે રમતો ત્યારથી માંડીને અત્યાર સુધી મેં ક્રિકેટમાં પૂરેપૂરી મોજ માણી છે અને અનેરા ઉત્સાહ સાથે રમ્યો છું. હવે ૩૭મા વર્ષે મારી અંદર ક્રિકેટ રમવાની બાબતમાં પહેલાં જેવી આગ નથી રહી. મારી કરીઅર શાનદાર બની રહે એ માટે મારા પરિવાર, મારાં માતા-પિતા, મારા ભાઈઓ, પત્ની ડૅનિયલ અને બાળકોએ જે બલિદાન આપ્યાં છે એના વિના હું આ બધું શક્ય જ ન હોત. હું મારી તમામ ટીમના સાથીઓ, પ્રત્યેક હરીફ, દરેક કોચ અને ફિઝિયો તથા પ્રત્યેક સ્ટાફ-મેમ્બરનો આભારી છું. સાઉથ આફ્રિકા અને ભારત સહિત મને બધે ખૂબ માન અને સપોર્ટ મળ્યાં એ બદલ હું હૃદયપૂર્વક આભારી છું. હું વિશેષ કરીને આરસીબીનો, મારા ફ્રેન્ડ વિરાટ કોહલીનો અને સમગ્ર આરસીબી પરિવારનો આભારી છું. હું હંમેશાં આરસીબીનો સપોર્ટર રહીશ.’

33064
ડિવિલિયર્સ ૧૭ વર્ષની કરીઅરમાં ઇન્ટરનૅશનલ મૅચ અને ટી૨૦ મૅચમાં કુલ આટલા બૉલ રમ્યો અને એમાં તેણે કુલ ૨૯,૪૩૮ રન બનાવ્યા છે.

કોહલીએ મેસેજમાં શું લખ્યું?

વિરાટ કોહલીએ આરસીબીના સાથી-ખેલાડી ડિવિલિયર્સના રિટાયરમેન્ટને પગલે મેસેજમાં લખ્યું છે, ‘તારા આ નિર્ણયથી હું ખૂબ હતાશ થયો છું. આઇ લવ યુ માય બ્રધર. આપણી દોસ્તી ક્રિકેટથી પણ વધુ છે એમ કહી શકાય અને એ કાયમ રહેશે.’ કોહલીએ ડિવિલિયર્સને પોતાના સમયની ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ખેલાડી અને સૌથી વધુ પ્રેરણારૂપ બનેલી વ્યક્તિ તરીકે ઓળખાવ્યો છે.

ડિવિલિયર્સની નિવૃત્તિથી અનુષ્કા શર્મા હતાશ

આરસીબી વતી વર્ષોથી રમેલા એબી ડિવિલિયર્સની રિટાયરમેન્ટની જાહેરાતથી આરસીબીના ભૂતપૂર્વ કૅપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા ખૂબ હતાશ છે. તેણે ઇન્સ્ટાગ્રામ પરની સ્ટોરીમાં ડિવિલિયર્સના ફોટો સાથે લખ્યું છે, ‘મને જે ગ્રેટેસ્ટ માનવી અને ગ્રેટેસ્ટ ક્રિકેટરને જોવા-જાણવાનો લહાવો મળ્યો એને હું નિવૃત્તિ પછીના સમયકાળ માટે શુભેચ્છા આપું છું. તેની પત્ની ડૅનિયલ તેમ જ તેમનાં બાળકોને પણ મારી હૃદયપૂર્વકની શુભકામના. મારા માટે આ ખરેખર હતાશાનો સમય છે. જોકે આશા રાખું છું કે તમને બધાને જીવનમાં તમામ પ્રકારની ખુશી મળે.’

sports news cricket news ab de villiers