ગૌતમ ગંભીર કહે છે કે મારે RCB માટે નિર્ણય લેવાનો હોત તો કોહલીને તો...

30 November, 2020 05:21 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ગૌતમ ગંભીર કહે છે કે મારે RCB માટે નિર્ણય લેવાનો હોત તો કોહલીને તો...

ગૌતમ ગંભીર તથા વિરાટ કોહલી

ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 3 વનડે સિરીઝની સિડની ખાતેની બીજી મેચ 51 રને જીતીને શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. મેચ પછી ભારતના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે કેપ્ટન વિરાટ કોહલીની ટીકા કરી હતી.

ગંભીરે કહ્યું હતું, "હું કોહલીની કપ્તાની સમજી શકતો નથી. આપણે વાત કરતા રહ્યા કે ઓસ્ટ્રેલિયા જેવી લાઈનઅપને મોટો સ્કોર કરતાં રોકવા માટે શરૂઆતમાં વિકેટ્સ લેવી કેટલી મહત્ત્વની હોય છે અને એ પછી તમે તમારા મુખ્ય બોલર જસપ્રીત બુમરાહને શરૂઆતમાં માત્ર 2 ઓવર જ આપો છો. વનડેમાં સામાન્યપણે બોલર્સ 4-3-3 એમ ત્રણ સ્પેલ નાખતા હોય છે."

ગંભીરે વધુમાં ઉમેર્યું હતું કે "તમે તમારા પ્રીમિયર બોલરને 2 ઓવરના સ્પેલ પછી રોકી દો છો? મને આ પ્રકારની કપ્તાની સમજાતી નથી. હું સમજાવી શકું એમ પણ નથી. કોહલીએ કેમ આવું કર્યું એ ખરેખર મને ખબર ન પડી. આ ખરાબ કપ્તાની છે. આ T-20 ક્રિકેટ નથી." તમને જણાવી દઈએ કે બુમરાહે પોતાના પ્રથમ સ્પેલમાં 2 ઓવર નાખી હતી. એ પછી તે નવમી ઓવરમાં પણ માત્ર એક ઓવરના સ્પેલ માટે બોલિંગ કરવા આવ્યો હતો.

બીજાને તક આપો

ગંભીરે કહ્યું વધુમાં કહ્યું હતું કે છઠ્ઠા બોલરની સમસ્યા છે તો ભારતે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે વોશિંગ્ટન સુંદર અથવા શિવમ દુબેને સ્ક્વોડમાં સ્થાન આપવાની જરૂર હતી. તેઓ વનડેમાં કેવું પ્રદર્શન કરે છે એ જોવાની જરૂર હતી. તમે કોઈને તક નહીં આપો ત્યાર સુધી જાણી નહીં શકો કે તેઓ ઇન્ટરનેશનલ લેવલે કેવું રમી શકે છે. આ એક સિલેક્શન ભૂલ પણ છે, જેની કિંમત ભારત ચૂકવશે.

RCBની સૌથી મોટી સમસ્યા લીડરશિપથી શરૂ થાય છે
IPમાંથી રોયલ ચેલેન્જર્સ બેંગલોર બહાર નીકળ્યું તે પછી ગંભીરે કહ્યુ હતું કે- "RCBની સૌથી મોટી સમસ્યા લીડરશિપથી શરૂ થાય છે. જ્યાં સુધી લીડરશિપ એકાઉન્ટેબલ(જવાબદારી નહિ લે) નહિ થાય ત્યાં સુધી તમે દર વર્ષે મેચો હાર્યા કરશો અને ક્યારેય ટ્રોફી જીતી નહિ શકો. મને કોચીસ અને સપોર્ટ સ્ટાફ પર દયા આવે છે, કારણ કે દર વર્ષે તેઓ બદલાય છે, જ્યારે પ્રોબ્લેમ બીજે ક્યાંક છે. કોહલીએ આ હારની જવાબદારી લઈ લેવી જોઈએ."

જો હું RCB માટે નિર્ણય લેતો હોત તો...

ગંભીરે કહ્યુ હતુ કે જો હું RCB માટે નિર્ણય લેતો હોત તો 100% કોહલીને કપ્તાનીમાંથી કાઢત. તમે જ કહો કે એવો કયો ખેલાડી હોત જેણે 8 વર્ષ સુધી તક મળવા છતાં ટ્રોફી ન જિતાડતો હોવા છતાં ય તેની કેપ્ટનશીપ ચાલુ રહે?

ગંભીરે વધુમાં કહ્યુ હતુ, મારા મનમાં કોહલી વિરુદ્ધ કંઈ નથી, પણ તેણે સ્વીકારવું જોઈએ કે તે જવાબદાર છે. 8 વર્ષ બહુ લાંબો સમય છે. રવિચંદ્રન અશ્વિનને 2 વર્ષમાં રિઝલ્ટ ન મળતાં કપ્તાનીપદેથી કાઢવામાં આવ્યો હતો. એમએસ ધોનીએ 3 અને રોહિત શર્માએ 4 ટાઇટલ જીત્યા એટલે આટલો સમય કપ્તાની કરી છે. મને ખાતરી છે કે રોહિત 8 વર્ષ સુધી ટાઇટલ ન જીત્યો હોત તો તેને પણ કાઢવામાં આવ્યો હોત.

cricket news sports news virat kohli gautam gambhir