13 March, 2026 10:55 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગૅરી કર્સ્ટન
ભારતના ભૂતપૂર્વ વર્લ્ડ કપ ચૅમ્પિયન કોચ ગૅરી કર્સ્ટને ભારતીય ક્રિકેટ વિશે મોટું નિવેદન આપ્યું છે. સાઉથ આફ્રિકાના આ ભૂતપૂર્વ ક્રિકેટરે શ્રીલંકાના હેડ કોચ તરીકેની જવાબદારી સ્વીકારતાં પહેલાં ભારતીય ક્રિકેટના વિકાસની પ્રશંસા કરી છે.
૫૮ વર્ષના ગૅરી કર્સ્ટને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મને લાગે છે કે IPLને કારણે ચોક્કસપણે ભારતીય ક્રિકેટમાં એક અલગ ગતિશીલતા આવી છે. હવે ત્યાં ઘણા સારા ખેલાડીઓ છે. તમે ખરેખર એમાંથી ૩ ટીમ પસંદ કરી શકો છો. મેં હાલમાં વર્લ્ડ કપ દરમ્યાન બૅન્ગલોરમાં સેન્ટર ઑફ એક્સલન્સમાં સૌથી અદ્ભુત ક્રિકેટ-સુવિધાઓ જોઈ હતી.’
ગૅરી કર્સ્ટને વધુમાં કહ્યું કે ‘મને લાગે છે કે છેલ્લાં ૧૫ વર્ષમાં IPLને કારણે ભારતમાં સુપરસ્ટાર કલ્ચર ઘણું બદલાઈ ગયું છે. મને લાગે છે કે ભારત કોઈ ખેલાડીના સુપરસ્ટાર દરજ્જાની આસપાસ ફરતું હતું. ફ્રૅન્ચાઇઝી લીગનો રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓ પર ઘણો પ્રભાવ પડ્યો છે. હવે ભારત પાસે સિસ્ટમમાં ઘણી ઊંડાઈ છે. હવે બે-ત્રણ પ્લેયર્સ પર આધાર રાખવાની જરૂર નથી.’