ભારતનો લંકા સામે વિજય : ગંભીરની શાનદાર સદી

29 July, 2012 03:20 AM IST  | 

ભારતનો લંકા સામે વિજય : ગંભીરની શાનદાર સદી

કોલંબો: ભારતે ગઈ કાલે શ્રીલંકાને ત્રીજી વન-ડેમાં બે બૉલ બાકી રાખીને પાંચ વિકેટે પરાજય આપી સિરીઝમાં ૨-૧થી સરસાઈ મેળવી લીધી હતી. ભારતને જીત સુધી પહોંચવામાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન આપનાર સુરેશ રૈના (૬૫ નૉટઆઉટ, ૪૫ બૉલ, ૧ સિક્સર, ૬ ફોર)ને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો. તેની અને ઇરફાન પઠાણ (૩૪ નૉટઆઉટ, ૩૧ બૉલ, ૩ ફોર) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે ૯૨ રનની મૅચવિનિંગ ભાગીદારી થઈ હતી.

શ્રીલંકા ૨૮ મૅચ પછી ગઈ કાલે પહેલી વાર પ્રથમ બૅટિંગમાં ૨૫૦ પ્લસનું ટોટલ બનાવ્યા પછી હારી ગયું હતું. શ્રીલંકાએ પાંચ વિકેટે ૨૮૬ રન બનાવ્યા હતા જેમાં કુમાર સંગકારાના ૭૩ રન, ઍન્જેલો મૅથ્યુઝના અણનમ ૭૧ રન અને માહેલા જયવર્દનેના ૬૫ રનનો સમાવેશ હતો. ભારતીય બોલરોમાં ઝહીર ખાને ૩૯ રનમાં સૌથી વધુ બે વિકેટ લીધી હતી. ઇરફાન તેમ જ રાહુલ શર્મા અને અશોક ડિન્ડાને એક-એક વિકેટ મળી હતી.

ભારતે ૪૯.૪ ઓવરમાં પાંચ વિકેટે ૨૮૮ રન બનાવીને મૅચ જીતી લીધી હતી. ભારતની ઇનિંગ્સની ૫૦મી ઓવર મૅથ્યુઝે કરી હતી. એ ઓવરમાં ભારતીયોએ ૬ રન બનાવવાના બાકી હતા. પ્રથમ બે બૉલમાં રૈનાએ ૩ રન બનાવ્યા પછી ચોથા બૉલમાં ઇરફાને વિનિંગ ફોર ફટકારી દીધી હતી. રૈનાને બે જીવતદાન મળ્યાં હતા.

એ પહેલાં ગૌતમ ગંભીરે ૧૦૧ બૉલમાં ૧૦ ફોર સાથે ૧૦૨ રન બનાવીને જીતનો પાયો નાખ્યો હતો. તે રનઆઉટ થયો હતો. તેની અને મહેન્દ્ર સિંહ ધોની (૩૧ રન, ૪૯ બૉલ, ૧ ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે ૬૭ રનની બહુમૂલ્ય પાર્ટનરશિપ થઈ હતી. વિરાટ કોહલીનું ૩૮ રનનું યોગદાન હતું. શ્રીલંકન બોલરોમાં લસિથ મલિન્ગાએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી. થિસારા પરેરા અને રંગાના હેરાથ એક-એક વિકેટ લઈ શક્યા હતા.

પાંચ મૅચવાળી સિરીઝની ચોથી મૅચ મંગળવારે રમાશે.