13 June, 2020 03:57 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent
શાહિદ અફરીદી
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન શાહિદ અફરીદી કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. અફરીદીએ કોવિડ-19 પૉઝિટીવ હોવાની માહિતી પોતે સોશિયલ મીડિયા દ્વારા શૅર કરી છે.
તેણે ટ્વીટ પર પોતાની તબિયતની માહિતી આપતાં લખ્યું છે કે, "મારી તબિયત ગુરુવારથી ખરાબ લાગતી હતી, મને શરીરમાં સખત દુઃખાવો થઈ રહ્યો હતો. મેં ટેસ્ટ કરાવ્યું અને દુર્ભાગ્યે મારી રિપોર્ટ પૉઝિટીવ આવી છે. મને તમારી બધાંની દુઆઓની જરૂર છે."
અફરીદી છેલ્લા ઘણાં મહિનાથી પોતાના ફાઉન્ડેશન દ્વારા કોરોના સંક્રમિત અને આનાથી પ્રભાવિત લોકોની મદદનું કામ કરે છે. તે લોકો સુધી ખોરાક અને જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવાની જવાબદારી ઉઠાવી રહ્યો છે. કોરોના સંક્રમિત લોકો સાથે વધારે સમય પસાર કરવાને કારણે તે પણ આ વાયરસની ચપેટમાં આવી ગયો છે.
હરભજન અને યુવરાજે પણ કરી હતી મદદ
અફરીદીએ ગયા મહિને ભારતીય ક્રિકેટ ટીમના બે દિગ્ગજ પૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહ અને સ્પિનર હરભજન સિંહ પાસેથી કોરોના પ્રભાવિત લોકોની મદદ કરવા માટે પૈસા એકઠાં કરવા મદદ માગી હતી. યુવરાજ અને હરભજન બન્નેએ ખુલ્લા દિલે આ નેક કામ કરવામાં તેની મદદ કરી અને પૈસા એકઠાં કરવામાં સહાય પણ કરી.
પીએમ મોદી પર નિવેદન બાદ હરભજન અને યુવરાજે સંબંધો પર મૂક્યું પૂર્ણવિરામ
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં અફરીદીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ભડકાઉ નિવેદન આપ્યું અને અપમાનજનક વાતો કરી. આ કારણે ભજી અને યુવીને ખૂબ જ દુઃખ થયું અને બન્ને ખેલાડીઓએ તત્કાલ અફરીદી સાથે તમામ સંબંધો પૂરા કરવાની જાહેરાત કરી દીધી. યુવરાજે ટ્વીટ પર નારાજગી વ્યક્ત કરતાં આ જાહેર કર્યું. જ્યારે ભજીએ એક ટીવી શૉ પર અફરીદી સાથે તમામ સંબંધો પૂરા કરવાની વાત કહી.