12 June, 2020 01:32 PM IST | New Delhi | Agencies
શિખર ધવન
ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શિખર ધવનનું કહેવું છે કે દર્શક વિના ક્રિકેટ રમાય એ કોઈ મોટી વાત નથી. કોરોના વાઇરસને કારણે જ્યાં દર્શકો વિના સ્પોર્ટ્સ યોજાવાની વાત ચાલી રહી છે ત્યાં ધવન દર્શકોને મનોરંજન પૂરું પાડવા માટે કોઈ કસર નહીં છોડે એવી વાત કરી રહ્યો છે. આ વિશે વિગતવાર વાત કરતાં શિખર ધવને કહ્યું કે ‘મારા ખ્યાલથી દર્શકો વિના સ્પોર્ટ્સ રમાય તો એ કાંઈ મોટી વાત નથી. મારા ચાહકોને ખુશ કરવા હું કૅમેરાની સામે જોઈને હાઇ-ફાઇ સેલિબ્રેશન કરીશ જેથી ટીવીમાં જોતી વખતે પણ તેઓ એન્જૉય કરી શકે. આ મહાબીમારીને કારણે જે બ્રેક મળ્યો છે એને હું એક તક રૂપે જોઉં છું, કારણ કે મને મારા પરિવાર સાથે વધારે સમય વિતાવવાનો અવસર મળ્યો છે. એ લોકો ઑસ્ટ્રેલિયા રહે છે અને હું તેમની સાથે બહુ જ ઓછો સમય પસાર કરી શકું છું, પણ હમણાં મળેલા સમયને કારણે સતત તેમની સાથે જોડાયેલો રહું છું. ખરું કહું તો ઘરમાં પણ વધારે સમય પસાર કરવાથી અન્ય લોકોની જેમ હું નારાજ નથી. મને રમવાની પણ એટલી જ ઉતાવળ છે જેટલી લોકોને છે. મારો આત્મવિશ્વાસ ઘણો મજબૂત છે અને કોઈ પણ પ્રકારની ઈજા તેને તોડી શકે એમ નથી. મારા પર્ફોર્મન્સને ઇમ્પ્રૂવ કરવા સતત પૉઝિટિવ વાતાવરણમાં જ રહું છું.’