29 August, 2020 10:29 AM IST | New Delhi | Agencies
અજિંક્ય રહાણે
વન-ડે ક્રિકેટમાં ઘણા ઉતાર-ચડાવ જોઈ ચૂકેલા મુંબઈના પ્લેયર અજિંક્ય રહાણેએ કહ્યું કે ૨૦૧૯ના વર્લ્ડ કપમાં આશા હતી કે મને ચોથા નંબરે બૅટિંગ કરવા માટે મોકલવામાં આવશે. ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં ચોથા નંબરે બૅટિંગ કરવા માટે હજી સુધી કોઈ પણ એક પ્લેયર નક્કી થયો નથી. તાજેતરમાં એક મુલાકાતમાં રહાણેએ કહ્યું કે ‘મને લાગતું હતું કે ૨૦૧૯ના વર્લ્ડ કપમાં મને ચોથા નંબરે બૅટિંગ કરવા મોકલવામાં આવશે, પણ હવે એ સમય ગયો અને તમે વીતી ગયેલા સમયને લઈને વધારે વિચાર ન કરી શકો. મારું લક્ષ્ય વન-ડે ટીમમાં કમબૅક કરવાનું છે, કારણ કે એ પ્રકારનું ક્રિકેટ રમવા માટે હું ઘણો કૉન્ફિડન્ટ છું. વર્લ્ડ કપ દરમ્યાન હું કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો હતો. દરેક પ્લેયરની ઇચ્છા હોય છે કે તે વર્લ્ડ કપની ટીમમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરે અને ખાસ કરીને ત્યારે જ્યારે આપણે ઘણી મહેનત કરી હોય છે. તમે મારા રેકૉર્ડ જોશો તો તમને ખબર પડશે કે રદ થતાં પહેલાં એ ઘણા સારા હતા છતાં મને ડ્રૉપ કરવામાં આવ્યો. હું ઘણો સકારાત્મક માણસ છું અને મને મારી જાત પર ભરોસો છે અને મને પાકો વિશ્વાસ છે કે હું ટીમમાં કમબૅક કરી શકીશ.’