31 July, 2020 05:13 PM IST | Southampton | Agencies
ઓઇન મૉર્ગન
ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના કૅપ્ટન ઓઇન મૉર્ગનનું કહેવું છે કે આયરલૅન્ડ સામેની વન-ડે સિરીઝથી નવા પ્લેયર્સને સારી તક મળી રહેશે. આ સિરીઝ દ્વારા ભવિષ્યમાં ૫૦ ઓવર અને ૨૦ ઓવરના વર્લ્ડ કપ માટે ક્રિકેટજગતને યુવા પ્લેયર મળી રહેશે. ગયા વર્ષે ઘરઆંગણે મૉર્ગનના નેતૃત્વમાં ઇંગ્લૅન્ડની ટીમ વર્લ્ડ કપ જીતી હતી. આયરલૅન્ડ સામે રમાનારી સિરીઝમાં મૉર્ગનના નેતૃત્વમાં ઇંગ્લૅન્ડની એક નવી ટીમ બાથ ભીડશે. બન્ને દેશો વચ્ચેની આ સિરીઝ આઇસીસી વર્લ્ડ કપ ઓડીઆઇ સુપર લીગની શરૂઆત કરશે. આ વિશે વાત કરતાં મૉર્ગને કહ્યું કે ‘આ સિરીઝ કદાચ અમારે માટે પણ એટલી જ નવી હશે જેટલી તેમને માટે, કારણ કે અમે પણ આ નવો પ્રવાસ નવા પ્લેયર્સ સાથે કરી રહ્યા છીએ. અમે એકસરખી યોજના જ અમલમાં મૂકવાના પ્રયાસ કરીશું, પણ આવતા વર્ષે રમાનારી ટી૨૦ અને ૫૦ ઓવરની મૅચને ધ્યાનમાં રાખીને અમે આગળ વધીશું. અમારું મૂળ લક્ષ્ય સૌથી સારા પ્લેયર શોધવાનું છે. લગભગ છેલ્લાં ચાર વર્ષથી કયા પ્લેયરને ટીમમાં રાખવો અને કોને ટીમની બહાર કરવો એ અમારા માટે અઘરો પ્રશ્ન બની ગયો છે. ટૅલન્ટેડ પ્લેયર આવવાથી અમારું સ્ટાન્ડર્ડ અને સ્કિલ બન્ને વધી ગયાં છે જેને કારણે તેમની પાસેથી અમારી મહત્ત્વાકાંક્ષાઓ પણ વધી ગઈ છે.’