ધોની ઝારખંડ ક્રિકેટ અસોસિએશનના અધિકારીઓના કૉલ પણ રિસીવ નથી કરતો

31 October, 2012 03:05 AM IST  | 

ધોની ઝારખંડ ક્રિકેટ અસોસિએશનના અધિકારીઓના કૉલ પણ રિસીવ નથી કરતો

રાંચી:

સચિન તેન્ડુલકર, ઝહીર ખાન, યુવરાજ સિંહ અને સુરેશ રૈના સહિત ભારતીય ટીમના મોટા ભાગના પ્લેયરો ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ પહેલાં રણજી ટ્રોફીમાં રમવા ઊતરી રહ્યા છે એટલે ધોની ઝારખંડની ટીમમાં આવવા તૈયાર છે કે નહીં એ જાણવા અધિકારીઓ તેને પૂછવા માગતા હતા, પરંતુ ધોની તરફથી કોઈ જવાબ જ નહોતો આવ્યો. છેવટે અસોસિએશનના સિલેક્ટરોએ જમ્મુ અને કાશ્મીર સામે રમાનારી રણજી સીઝનની પ્રથમ મૅચ માટે ધોની વિનાની ટીમ સિલેક્ટ કરી લીધી હતી.

આ બનાવ પરથી સ્પષ્ટ થાય છે કે ધોનીની અવગણનાનો શિકાર એકમાત્ર વીવીએસ લક્ષ્મણ નથી બન્યો. ઑગસ્ટમાં લક્ષ્મણે રિટાયરમેન્ટ જાહેર કરતી વખતે ધોની વિશે કહ્યું હતું કે મેં નિવૃત્તિનો નિર્ણય લેતાં પહેલાં ફોન પર ધોનીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કયોર્ હતો, પરંતુ તમે બધા જાણો જ છો કે તેના સુધી પહોંચવું કેટલું મુશ્કેલ છે.