21 January, 2019 06:30 PM IST |
જિંદગી સામે જંગ લડી રહ્યા છે જેકબ માર્ટિન
માર્ટિનનો વડોદરાની હૉસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. હાલ તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં તેમને અકસ્માત નડ્યો હતો અને તેમને ફેફસા અને લીવરમાં ઈજા પહોંચી હતી. આ અકસ્માત બાદ માર્ટિન જિંદગીનો જંગ લડી રહ્યા છે અને તેમના ઈલાજ માટે તેમનો પરિવાર પૈસા ભેગા કરવા માટે પ્રયાસ કરી રહ્યો છે. માર્ટિનના પરિવારજનોએ મદદ માંગવા માટે BCCIનો સંપર્ક કર્યો હતો. જે બાદ BCCIની સાથે સાથે કેટલાક ભારતીય ક્રિકેટરો પણ તેમની મદદે આવ્યા છે.
આ ક્રિકેટરોએ કરી માર્ટિનના પરિવારની મદદ
BCCIએ માર્ટિનના ઈલાજ માટે પાંચ લાખ રૂપિયાની મદદ કરી છે. વડોદરા ક્રિકેટ સંઘે પણ તેમને ત્રણ લાખ રૂપિયાની મદદ કરી છે. BCCI અને BCAના પૂર્વ સચિન માર્ટિનના પરિવારની મદદ કરી રહ્યા છે. BCAના સચિવ સંજય પટેલે જેકબના પરિવારની મદદ કરવા માટે પહેલું પગલું ઉઠાવ્યું હતું. જે બાદ પૂર્વ ભારતીય ક્રિકેટર ઝહીર ખાન, મુનાફ પટેલ, સૌરવ ગાંગુલી અને ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીની સાથે ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ સહિતના ખેલાડીઓએ પણ માર્ટિનના પરિવારની મદદ માટે હાથ આગલ વધાર્યો છે.
આ પણ વાંચોઃ ધોની હજી વર્લ્ડનો બેસ્ટ ફિનિશર : ઇયાન ચૅપલ
આવો રહ્યો છે માર્ટિનનો રેકોર્ડ
માર્ટિન ભારત તરફથી 10 વનડે મેચ રમ્યા હતા. વનડે ક્રિકેટમાં તેમણે ડેબ્યૂ 1999માં વેસ્ટઈંડિઝની સામે કર્યું હતું. તેઓ 138 ફર્સ્ટ ક્લાસ મેચ પણ રમ્યા જેમાં તેમણે 9192 રન બનાવ્યા અને તેમની સરેરાશ 47ની રહી. 46 વર્ષા માર્ટિને 10 વનડે મેચમાં 22.57ની સરેરાશથી 158 રન બનાવ્યા હતા. તેમણે ભારત માટે તેમનો છેલ્લો વનડે મેચ 17 ઓક્ટોબર 2001ના દિવસે કેન્યાની સામે પોર્ટ એલિઝાબેથમાં રમ્યો હતો.