21 February, 2019 10:57 AM IST |
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા આતંકવાદી હુમલા બાદ ક્રિકેટ જગતમાં ચર્ચાએ જોર પકડ્યું છે. આગામી વર્લ્ડ કપમાં પણ ભારતે આ વૈશ્વિક ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામેની મૅચ ન રમવી જોઈએ. આ મૅચ ૧૬ જૂને ઇંગ્લૅન્ડના ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાવાની છે. આગામી ૨૭ ફેબ્રુઆરીએ દુબઈમાં મળનારી ICCની બેઠકમાં પણ આ મામલે ચર્ચા થવાની શક્યતા છે. દરમ્યાન ભૂતપૂર્વ ક્રિકેટર અને ઉત્તર પ્રદેશના કૅબિનેટ મિનિસ્ટર ચેતન ચૌહાણે કહ્યું હતું કે ‘આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ન રમવું સરળ નથી, કારણ કે આ ટુર્નામેન્ટના પોતાના કેટલાક નિયમો હોય છે જેમાં ઘણા દેશો ભાગ લેતા હોય છે. જો કોઈ આવું કરે તો એનાં પરિણામ પણ ભોગવવાં પડે છે જેના કારણે આપણા પર પ્રતિબંધ તેમ જ દંડ પણ લાગી શકે છે. મને આશા છે કે સરકાર અને ભારતીય ક્રિકેટ બોર્ડ આ વાતનું ધ્યાન રાખશે.’
આ પણ વાંચોઃ વર્લ્ડ કપમાં પણ પાકિસ્તાન સામે ન રમે ભારત : હરભજન
સીઆરપીએફના જવાનો પર થયેલા હુમલા બાદ ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા સહિત ઘણાં અસોસિએશને પોતાના સ્ટેડિયમમાં લગાવેલા પાકિસ્તાનના ક્રિકેટરોના ફોટો પણ હટાવી લીધા છે. ગઈ કાલે બૅન્ગલોર અને નાગપુરના સ્ટેડિયમમાંથી પાકિસ્તાનના ક્રિકેટરોના ફોટો હટાવવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહે કહ્યું હતું કે ‘ આવી પરિસ્થિતિમાં આપણે પાકિસ્તાન સામે ન રમવું જોઈએ. સૌથી પહેલાં દેશ છે.’ ભારત અને પાકિસ્તાન ૨૦૧૩ બાદ કોઈ પણ દ્વિપક્ષી સિરીઝ રમ્યા નથી.