21 May, 2020 02:00 PM IST | Mumbai | Agencies
હરભજન સિંહ
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર હરભજન સિંહે બૉલ પર થૂંક ન લગાડવાના બૅન વિશે કહ્યું હતું કે બન્ને બોલિંગ એન્ડથી બે નવા બૉલનો ઉપયોગ કરવામાં આવવો જોઈએ. તાજેતરમાં આઇસીસીની ક્રિકેટ કમિટીએ બૉલ પર થૂંક લગાડવા પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી. પોતાની વાત કહેતાં હરભજને કહ્યું કે ‘તમે બન્ને બોલિંગ એન્ડ માટે બે નવા બૉલનો ઉપયોગ કરી શકો છો. એક બૉલ રિવર્સ સ્વિંગ માટે અને બીજો સ્વિંગ માટે વાપરી શકાય છે. મારા મતે આ બૉલને ૫૦ ઓવર બાદ બદલી દેવા જોઈએ અને ૯૦ ઓવર સુધી એ જ બૉલ દ્વારા ન રમવું જોઈએ. પરસેવો વાપરવાથી બૉલ પર શાઇનિંગ નહીં આવે. કૅપ્ટનને ખબર છે કે તેણે નવો બૉલ ક્યારે અને કેવી રીતે વાપરવાનો છે, પણ એક બૉલ ૫૦ ઓવરથી વધારે ન વાપરવો જોઈએ. બૉલ જેમ-જેમ જૂનો થતો જાય છે અને એના પર પરસેવો લગાડવામાં આવે છે ત્યારે તે વધારે ભારી બને છે. થૂંક જાડું હોય છે અને એને વારંવાર બૉલ પર ઘસવાથી તે બૉલને ચમકાવે છે. મારા ખ્યાલથી આ હંમેશાં માટેનું સૉલ્યુશન નથી. આપણે અન્ય કોઈ વિકલ્પ વિચારવો જ રહ્યો.’