23 August, 2026 01:58 PM IST | Colombo | Gujarati Mid-day Correspondent
ફીલ્ડિંગ પ્રૅક્ટિસ કરતા સરફરાઝ ખાન સહિતના ખેલાડીઓ.
ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ-સિરીઝની અંતિમ અને બીજી ટેસ્ટ-મૅચ આજથી કોલંબોમાં શરૂ થશે. ગૉલ ટેસ્ટ-મૅચમાં ૧૬૫ રનની જીત સાથે ભારતીય ટીમ સિરીઝમાં ૧-૦થી આગળ છે. કોલંબોમાં મૅચના પાંચેય દિવસ વરસાદની શક્યતા છે.
કોલંબોના SSC સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે નવ ટેસ્ટ-મૅચ રમાઈ છે એમાંથી ૩ મૅચ ભારત અને બે મૅચ શ્રીલંકા જીત્યું છે, જ્યારે ચાર મૅચ ડ્રૉ રહી છે. ભારત અહીં છેલ્લે ૨૦૦૮માં હાર્યું હતું, ત્યાર પછીની એક મૅચ ડ્રૉ રહી અને બે મૅચમાં ભારતને જીત મળી હતી.
શ્રીલંકાએ ૨૦૧૫માં ભારત સામેની છેલ્લી ટેસ્ટ-મૅચ જીતી હતી, ત્યારથી શ્રીલંકન ટીમે ભારત સામે નવ ટેસ્ટ-મૅચ હારી છે અને બે ડ્રૉ કરી હતી.શ્રીલંકા ભારત સામે છેલ્લે ૨૦૦૮માં જીત્યું હતું અને છેલ્લે બન્ને ટીમ વચ્ચે ૨૦૧૦માં ટેસ્ટ-સિરીઝ ડ્રૉ રહી હતી.
વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના મહત્ત્વપૂર્ણ તબક્કામાં ભારતના હેડ કોચ ગૌતમ ગંભીરે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. બીજી ટેસ્ટ-મૅચ પહેલાં ગૌતમ ગંભીરે કહ્યું હતું કે ‘શ્રીલંકા ટૂર પર હું ત્રણ ટેસ્ટ-મૅચ ઇચ્છતો હતો, કારણ કે ત્રણ ટેસ્ટ-મૅચની સિરીઝમાં પહેલી મૅચ હારનાર ટીમ પાસે કમબૅકનો ચાન્સ હોય છે. બે મૅચની સિરીઝમાં તમે ડ્રૉ જ કરી શકો છો.’ ગૌતમ ગંભીર આગળ કહે છે, ‘ટીમનું રૅન્કિંગ મહત્ત્વપૂર્ણ નથી. આપણી ટીમ ટેસ્ટ-ક્રિકેટમાં સંઘર્ષ નથી કરી રહી. ઇંગ્લૅન્ડ ટેસ્ટ-ટૂરથી જ ભારત સારું ક્રિકેટ રમી રહ્યું છે. હું ટીકાઓને મહત્ત્વ નથી આપતો. મારું કામ ટ્રોફી જીતવાનું છે. મારા અને બીજા લોકો વચ્ચે આ જ તફાવત છે. મને વ્યુઝ કે લાઇક્સની પરવા નથી.’