23 September, 2023 06:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
આગામી ઑક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાનારા વન-ડેનો વર્લ્ડ કપ જીતનારી ટીમને ટ્રોફી સાથે ૪૦ લાખ ડૉલર (અંદાજે ૩૩.૧૮ કરોડ રૂપિયા)ની ઇનામીરકમ મળશે. ફાઇનલ ૧૯ નવેમ્બરે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે અને ત્યાં ચૅમ્પિયન ટીમને ઇનામીરકમનો ચેક અપાશે.
વર્લ્ડ કપમાં કુલ મળીને એક કરોડ ડૉલર (આશરે ૮૩ કરોડ રૂપિયા)નાં ઇનામો આપવામાં આવશે. ૨૦૧૫ અને ૨૦૧૯ના વર્લ્ડ કપમાં પણ કુલ આટલાં ઇનામો આપવામાં આવ્યાં હતાં.
રનર-અપ ટીમને ટ્રોફી સાથે ૨૦ લાખ ડૉલર (૧૬.૫૦ કરોડ રૂપિયા) મળશે. સેમી ફાઇનલ હારી જનારી પ્રત્યેક ટીમને ૮ લાખ ડૉલર (૬.૬૪ કરોડ રૂપિયા) મળશે.
૪૫ મૅચના લીગ રાઉન્ડમાં પ્રત્યેક મૅચની જીત બદલ ટીમને ૪૦,૦૦૦ ડૉલર (૩૩ લાખ રૂપિયા) મળશે અને સેમી ફાઇનલમાં ક્વૉલિફાય ન થનારી છ ટીમને (પ્રત્યેકને) એક લાખ ડૉલર (૮૩ લાખ રૂપિયા) આપવામાં આવશે.
પાંચમી ઑક્ટોબરથી ૧૯ નવેમ્બર સુધીના વર્લ્ડ કપમાં રાઉન્ડ-રૉબિન ફૉર્મેટમાં પ્રત્યેક ટીમ એકમેક સામે એકવાર રમશે અને ટોચની ચાર ટીમ સેમી ફાઇનલમાં જશે. ભારતની પ્રથમ મૅચ ૮ ઑક્ટોબરે ચેન્નઈમાં ઑસ્ટ્રેલિયા સામે રમાશે. ૧૪ ઑક્ટોબરે અમદાવાદમાં ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈ-વૉલ્ટેજ મુકાબલો થશે.