15 February, 2020 01:25 PM IST | New Delhi
રવિ બિશ્નોઈ
રવિ બિશ્નોઈ હવે અનિલ કુંબલેના નેતૃત્વ હેઠળ તેનાથી શક્ય હોય એટલું શીખવા માગે છે. અન્ડર-૯ વર્લ્ડ કપમાં સૌથી વધારે વિકેટ લેનાર રવિ બિશ્નોઈ હવે આઇપીએલ માટે તૈયારી કરી રહ્યો છે. રવિની પસંદગી કિંગ્સ ઇલેવન પંજાબમાં થઈ હોવાથી તે ભૂતપૂર્વ દિગ્ગજ પ્લેયર અને કિંગ્સ ઇલેવન પંજાબના હેડ-કોચ અનિલ કુંબલે સાથે વધારે સમય વિતાવી શકશે. કુંબલે સાથે વધારે સમય રહીને તેની પાસેથી કશુંક શીખવા તલપાપડ થતાં રવિએ કહ્યું હતું કે ‘આઇપીએલ દરમ્યાન અનિલ કુંબલેસર સાથે ક્વૉલિટી ટાઇમ વિતાવવા હું ઘણો ઉત્સુક છું. હું તેમના દિમાગને સમજીને કંઈક નવું શીખવાનો પ્રયાશ કરીશ. શક્ય એટલો હું તેમની આસપાસ રહેવાનો પ્રયાસ કરીશ અને તેમના માર્ગદર્શન હેઠળ હું સારા એરિયામાં બોલિંગ કરવાની પ્રૅક્ટિસ કરીશ.’
અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં સૌથી વધારે વિકેટ લીધી હોવા છતાં ફાઇનલ મૅચ ઇન્ડિયાએ ગુમાવી દેતાં જે પ્રમાણે બંગલા દેશ ટીમે ગેરવર્તણૂક કરી હતી એ જોતાં બિશ્નોઈએ પણ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો. આ કારણસર તેને સૌથી વધારે ડીમેરિટ પૉઇન્ટ્સ આપવામાં આવ્યા હતા. જોકે રવિએ પછીથી એ આ મુદ્દે વાત કરવાની ના પાડી દીધી હતી.