16 May, 2020 01:00 PM IST | Mumbai Desk | Agencies
રવિ શાસ્ત્રી
ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીનું કહેવું છે કે કોરોના વાઇરસ બાદ જ્યારે ક્રિકેટ રમવાની શરૂ કરવામાં આવે તો સૌથી પહેલાં વર્લ્ડ કપને બદલે દ્વિપક્ષીય સિરીઝ અથવા તો આઇપીએલથી શરૂઆત કરવી જોઈએ. શાસ્ત્રીએ કહ્યું કે ‘છેલ્લા ૭-૮ દાયકામાં એક સ્પોર્ટ્સપર્સન માટે આ સૌથી ખરાબ સમય છે જેને આપણે છેલ્લા બે મહિનાથી અને કદાચ હજી વધારે કેટલાક મહિના સુધી સહન કરવો પડશે. હું અત્યારે વર્લ્ડ કપ રમવાની વાત નહીં કરું, પણ આપણે દ્વિપક્ષીય સિરીઝ પર પહેલાં ધ્યાન આપવું જોઈશે. ડોમેસ્ટિક, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ બધાની ગાડી પાટા પર આવે એ પહેલાં મહત્ત્વનું છે. જો ભારતને વર્લ્ડ કપ અથવા દ્વિપક્ષીય સિરીઝ બેમાંથી કોઈ એકનું આયોજન કરવાનું કહે તો મારા ખ્યાલથી દ્વિપક્ષીય સિરીઝનું આયોજન પહેલાં કરવું જોઈએ. કેટલો મોટો ક્રિકેટર કેમ ન હોય તેને લયમાં આવતાં વાર લાગે છે. આ ફક્ત ક્રિકેટ પૂરતું નહીં, દરેક સ્પોર્ટ્સ માટે લાગુ પડે છે. ઇન્ડિયાએ સૌથી પહેલાં આઇપીએલ પર ફોકસ કરવું જોઈએ. દ્વિપક્ષીય સિરીઝ અને આઇપીએલને બે-ત્રણ શહેરની અંદર ગોઠવી શકાય છે. આથી લૉજિસ્ટિકની દૃષ્ટિએ પણ એ વધુ હિતાવહ રહેશે.’