24 May, 2020 01:52 PM IST | Melbourne | Agencies
ઇયાન ચૅપલ
ઑસ્ટ્રેલિયા ક્રિકેટના ભૂતપૂર્વ પ્લેયર ઇયાન ચૅપલનું કહેવું છે કે જો ભારતીય ક્રિકેટ બોર્ડને આઇપીએલ માટે સ્લૉટ જોઈતો હોય તો તેઓ ટી20 વર્લ્ડ કપનો મેળવી શકે છે. માર્ચ ઍન્ડમાં રમાનારી આઇપીએલને કોરોના વાઇરસને કારણે સસ્પેન્ડ કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ ક્યારે યોજાશે એનો કોઈ ઉલ્લેખ નથી. જોકે ઘણા પ્લેયર આઇપીએલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પેટ કમિન્સે આઇપીએલ રમવાની ઇચ્છા વ્યક્ત કરી એના બીજા જ દિવસે ચૅપલે પણ આ વિશે વાત કરી હતી. હાલના સમયમાં ક્રિકેટ ઑસ્ટ્રેલિયા ટી20 વર્લ્ડ કપ માટે સતત આઇસીસીના સંપર્કમાં છે. આ વિશે ચૅપલે કહ્યું કે ‘આ ટિપ્પણી એવી વ્યક્તિ પાસેથી આવી છે જે બોર્ડનો જરાય લાડકો નથી. જોકે પ્લેયરોને ક્રિકેટ ઑસ્ટ્રેલિયા દ્વારા ખૂબ જ સારી રીતે રાખવામાં આવી રહ્યા છે. આ સાથે મળીને ક્રિકેટ વિશ્વને કહેવાનો સમય છે કે અમે ઇન્ડિયાની આસપાસ ગોઠવાઈને નથી રહેવાના. મને એ પ્લેયરો પ્રત્યે સહાનુભૂતિ છે જેમની મોટી આવક આઇપીએલમાંથી આવે છે. ટૉપ પ્લેયરોને સારા રૂપિયા ક્રિકેટ ઑસ્ટ્રેલિયા પાસેથી મળે છે. આથી તેઓ પૈસાને લઈને વાંધો ન ઉઠાવી શકે.’
ઑક્ટોબર-નવેમ્બરમાં રમાનાર ટી20 વર્લ્ડ કપની જગ્યાએ આઇપીએલ રમાડવામાં આવે એવી ચર્ચા ચાલી રહી છે. આ વિશે ચૅપલે કહ્યું હતું કે ‘પહેલી વાત તમે જાણી રાખો કે બીસીસીઆઇ જીતશે. જો તેમણે ઑક્ટોબરમાં રમવું છે તો તેમને એ સ્લૉટ મળશે. મને હાલમાં એવું લાગી રહ્યું છે કે ટી20 વર્લ્ડ કપને લંબાવવામાં આવશે. 16 દેશો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા હોવાથી લોજિસ્ટિકની દૃષ્ટિથી આ અઘરું પડી શકે છે. જો બીસીસીઆઇને આઇપીએલ માટે ટી20નો સ્લૉટ જોઈએ તો તેઓ એ મેળવી શકે છે.’