13 February, 2020 03:55 PM IST | Mumbai Desk
નવી દિલ્હી : અન્ડર ૧૯ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત-બંગલા દેશના પ્લેયરો વચ્ચે થયેલી બોલાચાલીનો કિસ્સો ધીમે-ધીમે વકરી રહ્યો છે. હાલમાં ઇન્ડિયન ટીમના દિગ્ગજ ભૂતપૂર્વ પ્લેયર કપિલ દેવ અને મોહમ્મદ અઝહરુદ્દીને ભારતીય ક્રિકેટ બોર્ડને આ વિવાદમાં ભારતીય પ્લેયરો સામે કડક પગલાં લેવાંની વિનંતી કરી છે જેથી કરીને એક દાખલો લોકો સામે મૂકી શકાય. આ સંદર્ભમાં કપિલ દેવે કહ્યું હતું કે ‘હું ભારતીય ક્રિકેટ બોર્ડને વિનંતી કરું છે કે આ કિસ્સામાં પ્લેયરો સામે કડક પગલાં લઈને એક દાખલો પૂરો પાડે. ક્રિકેટ વિરોધી ટીમને અપમાનિત કરવા માટે નથી. અગ્રેશન આવે એ હું માનું છું, પણ એમાં પણ લિમિટ હોવી જોઈએ. સ્પર્ધાના નામે લાઇન ક્રૉસ ન કરી શકો. ક્રિકેટના મેદાનમાં પ્લેયરોનું વર્તન ઘણું ખરાબ હતું જે સ્વીકાર્ય નથી.’
મોહમ્મદ અઝહરુદ્દીને પણ કપિલ દેવના સૂરમાં સૂર પુરાવ્યો હતો. અઝહરુદ્દીને કહ્યું હતું કે ‘હું અન્ડર ૧૯ પ્લેયરો સામે ઍક્શન લઈશ, પરંતુ મારે એ પણ જાણવું છે કે સપોર્ટ સ્ટાફ આ યંગસ્ટર્સને એજ્યુકેટ કરવામાં શું રોલ નીભાવે છે. વધારે મોડું થાય એ પહેલાં હમણાં જ કોઈ ઍક્શન લો. પ્લેયરોએ અનુશાસનમાં રહેવું જોઈએ. બંગલા દેશે જે કર્યું એ તે લોકોનો પ્રૉબ્લેમ છે. તમે ખરાબ બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ કરી એને લીધે હાર્યા. તમારા ખરાબ અનુભવની વાત સ્વીકારો. તેમની નાની ઉંમરને કારણે નિર્દોષ ન ગણી શકાય.’
મને નથી ખબર પડતી કે મારા છોકરાને શું થઈ ગયું હતું? તે મારાં બધાં બાળકોમાં સૌથી શાંત છે. પોતાની ટીમને બચાવવાના સમયે તેણે ક્યારે પણ પોતાનો પિત્તો ગુમાવ્યો નથી એ બધી વાત તેણે અમને કરી હતી. મારી પત્ની પણ ગઈ કાલથી કંઈ ખાઈ નથી રહી. - રવિ બિશ્નોઈના પિતા મંગીલાલ બિશ્નોઈ