12 September, 2025 10:14 AM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent
UAEના હેડ કોચ લાલચંદ રાજપૂત
યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના હેડ કોચ લાલચંદ રાજપૂતે ભારત સામે મળેલી ૯ વિકેટની હાર વિશે મોટી કમેન્ટ કરી છે. મુંબઈમાં જન્મેલો લાલચંદ રાજપૂત કહે છે કે ‘તેઓ ક્યારેય આવા બોલરનો સામનો કરી શકતા નથી. તેઓ સામેની ટીમના મોટાં નામથી પ્રભાવિત થયા હતા. વર્લ્ડ ચૅમ્પિયન ટીમ અન્ય ટીમને ધૂળ ચટાડવાની ક્ષમતા રાખે છે.’
તે વધુમાં કહે છે કે ‘પાવરપ્લે સુધી બધું બરાબર હતું, પરંતુ સ્પિનરોએ બોલિંગ શરૂ કરતાં જ પરિસ્થિતિ બદલાઈ ગઈ. પિચ પર બહુ ટર્ન નહોતો, પરંતુ જો કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી બોલિંગ કરી રહ્યા હોય તો મોટા બૅટ્સમૅન પણ તેમની સામે સંઘર્ષ કરવા માંડે છે. અર્શદીપ સિંહ જેવા ફાસ્ટ બોલરને ડ્રૉપ કરવો પડે એ ભારતીય ટીમની સ્ટ્રેંગ્થ બતાવે છે. અમારે ૨૦ ઓવર બેટિંગ કરવી જોઈતી હતી, પરતું એવું ન થઈ શક્યું. આ અમારા માટે લર્નિંગ પ્રોસેસ હતી. UAE હવે ઓમાન (૧૫ સપ્ટેમ્બર) અને પાકિસ્તાન (૧૭ સપ્ટેમ્બર) સામે એશિયા કપની ગ્રુપ-સ્ટેજ મૅચ રમશે.
૬૩ વર્ષનો આ હેડ કોચ મુંબઈ અને વિદર્ભ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમી ચૂકયો છે. ભારત માટે ૧૯૮૫થી ૧૯૮૭ વચ્ચે બે ટેસ્ટ અને ચાર વન-ડે રમનાર લાલચંદ રાજપૂત T20 વર્લ્ડ કપ 2007માં ભારતીય ટીમનો મૅનેજર હતો. અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વેને કોચિંગ આપ્યા બાદ તે ફેબ્રુઆરી ૨૦૨૪થી UAE ટીમમાં હેડ કોચનું પદ સંભાળી રહ્યો છે.