04 June, 2020 11:20 AM IST | New Delhi | Agencies
અનિલ કુંબલે
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ કમિટીના ચૅરમૅન અનિલ કુંબલેનું કહેવું છે કે બૅટ્સમૅન અને બોલર બન્નેને ફાયદો થાય એવી વિકેટ બનાવવામાં આવશે. કોરોના વાઇરસને કારણે થયેલા લૉકડાઉન બાદ ફરી ક્રિકેટ શરૂ થવાની ચર્ચા ચાલી રહી છે. જોકે આ માટે ઘણી ગાઇડલાઇન તૈયાર કરવામાં આવી છે જેમાંની એક છે બૉલ પર થૂંક ન લગાવવું. આ કારણે બોલરને ઘણું નુક્સાન થઈ શકે છે. આ વિશે વાત કરતાં અનિલ કુંબલેએ કહ્યું હતું કે ‘અમારો ઉદ્દેશ ક્રિકેટને શરૂ કરવાનો છે. અમે એને નૉર્મલ તો નહીં કહીં શકીએ, પરંતુ આને જ હવે નૉર્મલ ગણવું પણ પડશે. પ્લેયરની સેફ્ટી અને સિક્યૉરિટી સૌથી મહત્વનું છે. મેડિકલ ટીમના સૂચનથી થૂંક પર પ્રતિબંધ લગાવ્યો છે. આથી અમે વિકેટને બૅલૅન્સ રાખીશું, જેથી બૅટ્સમૅન અને બોલર બન્નેને ફાયદો થઈ શકે.’