અ​જિંક્ય રહાણેને પોતાને માટે જ કરેલી યોજના કામ લાગી ગઈ : પ્રવીણ આમરે

02 January, 2021 10:57 AM IST  |  Mumbai | Agency

અ​જિંક્ય રહાણેને પોતાને માટે જ કરેલી યોજના કામ લાગી ગઈ : પ્રવીણ આમરે

પ્રવીણ આમરે

ભૂતપૂર્વ ભારતીય પ્લેયર પ્રવીણ આમરેએ તાજેતરમાં અજિંક્ય રહાણેએ મેલબર્નમાં ફટકારેલી શતકીય પારીનાં વખાણ કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે રહાણેએ પોતાને માટે બનાવેલી યોજના જ તેને કામ લાગી હતી. આમરેએ ઑસ્ટ્રેલિયા જતાં પહેલાં રહાણેને થઈ શકે એટલી સાદગીથી રમવાની સલાહ આપી હતી.

આ સંદર્ભે વિગતવાર વાત કરતાં આમરેએ કહ્યું કે ‘આપણે એક જ સમયે વિવિધ ટૂર વિશે ન વિચારી શકીએ. એક સમયે એક જ ટૂર પર ધ્યાન આપવું પડે છે અને એમાં પોતાનું બેસ્ટ આપવાની તૈયારી રાખવી પડે. અજિંક્ય રહાણેએ એ જ કર્યું છે. તેણે નાની-નાની વાતો પર ધ્યાન આપીને મહેનત કરી હતી. ઑસ્ટ્રેલિયામાં પોતે કેવી રીતે રમશે એ માટે તેણે તૈયારી શરૂ કરી દીધી હતી. સફળતા આમ જ નથી મળી જતી, એને માટે તૈયારી કરવી જરૂરી છે. કૅપ્ટન તરીકેનું સંપૂર્ણ શ્રેય અજિંક્યને જ જાય છે, કેમ કે કોચ હોવાને લીધે અમે કૅપ્ટન તરીકે નથી વિચારતા. અમે મોટા ભાગે ટીમની બૅટિંગ-સાઇડ પર ધ્યાન આપીએ છીએ. ટીમને જ્યારે લીડ કરવાની વાત આવે છે ત્યારે સંપૂર્ણ ક્રેડિટ તેને જ જાય છે. પોતાના શાંત સ્વભાવને લીધે તેણે પરિસ્થિતિને ઘણી સારી રીતે સંભાળી અને એ કારણને લીધે જ તે એક સફળ કૅપ્ટન સાબિત થયો છે.’

વધારે જણાવતાં પ્રવીણ આમરેએ કહ્યું કે ‘રહાણેએ યુવા પ્લેયરોને ટેકો આપવાથી માંડીને, અશ્વિન પાસે પહેલાં બોલિંગ કરવા સુધીની અનેક નાની-નાની વાતો પર ધ્યાન આપ્યું હતું. આ ટેસ્ટ મૅચ છે માટે અમે ધ્યાન રાખીએ છીએ. બુમરાહ જેવા ફાસ્ટ બોલર્સ ફ્રેશ હોય ત્યારે બોલિંગ કરે અને વિરોધી ટીમને મૅચ લંબાવવા કે મોટી પાર્ટનરશિપ ન કરવા દઈએ.’

cricket news sports news ajinkya rahane