14 January, 2020 08:21 AM IST | Mumbai
મુંબઈ : (આઇ.એ.એન.એસ.) વીરેન્દર સેહવાગનું કહેવું છે કે દરેક પ્લેયર હીરો છે અને એથી જ તેણે ફીલ્ડ પર ગાળાગાળ ન કરવી જોઈએ. તાજેતરમાં જૉસ બટલરે સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર વેર્નોન ફિલેન્ડર સાથે કરેલી ગાળાગાળ સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. સ્ટમ્પ્સ પાસે લાગેલા માઇક્રોફોનને કારણે આ ઑડિયો ખૂબ જ ક્લિયર આવ્યો હતો. આ માટે તેને મૅચ-ફીના ૧૫ ટકા દંડ પણ કરવામાં આવ્યો હતો. આ વિશે પૂછતાં સેહવાગે કહ્યું હતું કે ‘દરેક પ્લેયર એક હીરો હોય છે અને તેણે ફીલ્ડ પર જવાબદારી સાથે રમવાનું હોય છે. ફીલ્ડ પર અભદ્ર ભાષા બોલવી સારી નથી. મારો છોકરો એ મૅચ જોઈ રહ્યો હતો અને એ જોઈને તેણે મને પૂછ્યું કે ‘પાપા, તેણે પેલાને આઉટ થયા પછી શું કહ્યું?’ મારે ટીવીનો અવાજ ધીમો કરવો પડ્યો અને મેં તેની સામેથી નજર ફેરવી લીધી હતી. દરેક પ્લેયર હીરો હોય છે. સ્ટમ્પ્સ પાસેથી માઇક્રોફોન હટાવવાની કોઈ સંભાવના નથી. તેમણે ક્યાંક તો ધ્યાન રાખવું પડશે. એક હેલ્ધી કૉમ્પિટિશન હોવી સારી વાત છે, પણ એને માટે અભદ્ર શબ્દો વાપરવા ન જોઈએ.’
પિન્ક ટેસ્ટ બૉલ ફયુચર છે: સેહવાગ
વીરેન્દર સેહવાગનું કહેવું છે કે પિન્ક બૉલ ટેસ્ટ એ ભવિષ્ય છે. ઇન્ડિયાએ પહેલી પિન્ક બૉલ ટેસ્ટ બંગલા દેશ સામે જીતી લીધા બાદ એની ઘણી ચર્ચા કરવામાં આવી રહી છે. ઘણા પ્લેયર આ નવી ક્રિકેટ સ્ટાઇલને અપનાવીને ટેકો પણ આપી રહ્યા છે. પિન્ક બૉલ ટેસ્ટને સપોર્ટ કરતાં વીરેન્દર સેહવાગે કહ્યું હતું કે ‘આગળ વધતાં રહેવા માટે ડે-નાઇટ ટેસ્ટ એક સારો વિકલ્પ છે અને એની અસર આપણે ઈડન ગાર્ડન્સમાં પણ જોઈ. આ ઇવેન્ટની ક્રેડિટ આપણે દાદાને આપવી રહી. પરિવર્તન એ સંસારનો નિયમ છે. આ પ્રકારના નવા ફૉર્મેટમાં વધારે ચાહકોને આવરી લઈ શકાય છે. મેં હંમેશાં બદલાવને સપોર્ટ કર્યો છે.’
જર્સીમાં નામ કે પિન્ક બૉલમાં ફેરફાર ચાલતા રહે છે. જોકે ડાઇપર અને પાંચ દિવસની ટેસ્ટ ત્યારે જ બદલવી જોઈએ જ્યારે એ ખતમ થાય. પાંચ દિવસની ટેસ્ટનો હજી અંત નથી આવ્યો. ટેસ્ટ ક્રિકેટ ૧૪૩ વર્ષનો ફિટ માણસ છે. ચાર દિન કી ચાંદની હોતી હૈ, ટેસ્ટ ક્રિકેટ નહીં.’ - વીરેન્દર સેહવાગ, ચાર દિવસની ટેસ્ટ વિશે