03 October, 2019 12:37 PM IST | મુંબઈ
ગુણાથીલકા
કરાચીના નૅશનલ સ્ટેડિયમમાં ગઈ કાલે રમાયેલી ત્રીજી અને છેલ્લી વન-ડે મૅચમાં શ્રીલંકાએ આપેલા ૨૯૮ રનના લક્ષ્યને પાકિસ્તાને સરળતાથી પ્રાપ્ત કરી મૅચ અને સિરીઝ બન્ને જીતી લીધી હતી. પહેલી મૅચ વરસાદને કારણે રદ થઈ હતી. શ્રીલંકાએ ટૉસ જીતીને પહેલા બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને શરૂઆતથી જ વિકેટ ગુમાવવાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. જોકે એક તરફ વિકેટ પડી રહી હતી તેમ છતાં ઓપનર ધનુષ્કા ગુણાથીલકાએ પોતાની વિકેટ સંભાળી રાખી હતી અને ૧૩૩ રનની પારી રમી ટીમને એક સન્માનનીય સ્કોર સુધી પહોંચાડી હતી. શ્રીલંકાએ ૫૦ ઓવરમાં નવ વિકેટ ગુમાવી ૨૯૭ રન કર્યા હતા. ગુણાથીલકા સિવાય ડસુન શંકરાએ ૪૩ રન કર્યા હતા. પાકિસ્તાન વતી મોહમ્મદ આમીરે સૌથી વધારે ત્રણ વિકેટ લીધી હતી.
સામા પક્ષે મહેમાન ટીમે આપેલા ૨૯૮ રનના ટાર્ગેટને ચેઝ કરવા મેદાનમાં ઊતરેલી પાકિસ્તાન ટીમની શરૂઆત મજબૂત રહી હતી અને બન્ને ઓપનરોએ પહેલી વિકેટ માટે ૧૨૩ રનની પાર્ટનરશિપ કરી હતી. આબિદ અલી ૭૪ રન કરીને વનીડુ હસનરંગાના બૉલ પર એલબીડબ્લ્યુ થયો હતો. ત્યાર બાદ વનડાઉન આવેલા બાબર આઝમે (૩૧) ફખર ઝમાન (૭૬) સાથે મૅચને આગળ વધારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ બન્ને નુવાન પ્રદીપના શિકાર બન્યા હતા.
આ પણ વાંચો : હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત : 6 મહિનાથી વધુ સમય ક્રિકેટથી દુર રહી શકે છે
પાકિસ્તાને આ વન-ડે સિરીઝ જીતી લીધા બાદ હવે બન્ને ટીમ પાંચમી ઑક્ટોબરથી ત્રણ ટી૨૦ મૅચોની સિરીઝ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમશે.