15 December, 2019 04:09 PM IST | Mumbai Desk
ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ વન-ડે મૅચની સિરીઝમાંની પહેલી મૅચ આજે ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. મૅચની પૂર્વસંધ્યાએ યોજાયેલી પ્રેસ-કૉન્ફરન્સમાં વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન કીરોન પોલાર્ડે કહ્યું કે વન-ડેમાં પોતાની ક્ષમતા બતાવવી જરાય અઘરી નથી હોતી.
આ બાબતે વાત કરતાં પોલાર્ડે કહ્યું હતું કે ‘અમારી ટીમને ઉપર લાવવાનું જરાય અઘરું નથી, કેમ કે અમારા પક્ષમાં ઘણાં સકારાત્મક પાસાં આવી રહ્યાં છે. તમે તકલીફોની વાત કરો છો અને હું હકારાત્મકતાની વાત કરું છું, પણ ના, એવું નથી. દરેક ફૉર્મેટની એક અલગ સ્ટાઇલ હોય છે. મારા ખ્યાલથી ૬ પ્લેયર નવેમ્બરથી ટીમમાં રમી રહ્યા છે અને એ લોકોને ચાન્સ મળતાં સારું પ્રદર્શન કરી શકશે. બસ જોવાનું માત્ર એ છે કે ટીમ ઇન્ડિયા કેવા પ્લાનિંગ સાથે મેદાનમાં ઊતરે છે અને તેની સામે અમે કેવું પર્ફોર્મ કરીએ છીએ.’
આ ઉપરાંત પોલાર્ડે ટી૨૦માં ફાઇનલ મૅચ સુધી પહોંચીને ટીમ ઇન્ડિયાને જે ફાઇટ આપી હતી એ વિશે પોતાના વિચાર વહેતા કરીને પોતાના પ્લેયરોની વાહવાહી કરી હતી.