16 January, 2020 03:24 PM IST | Mumbai
શિખર ધવન
ઑસ્ટ્રેલિયાના હાથે પહેલી વન-ડેમાં મહાત ખાધા બાદ ટીમ ઇન્ડિયાના કેટલાય નિર્ણયોની ટીકા કરવામાં આવી છે. સૌથી મોટી ટીકા કોહલીના ચોથા નંબરે બૅટિંગના નિર્ણયની કરવામાં આવી રહી છે. જોકે કોહલીએ પહેલી મૅચમાં પોતાનો એ નિર્ણય ખોટો સાબિત થયો હોવાનું સ્વીકાર્યું હતું અને એમાં સુધારો કરવાનું આશ્વાસન આપ્યું હતું. સામા પક્ષે પાછલી વન-ડેમાં કમબૅક કરી ચૂકેલા શિખર ધવને ત્રીજા નંબરે બૅટિંગ કરવાની પોતાની તૈયારી બતાવી છે. પહેલી વન-ડે બાદની પ્રેસ-કૉન્ફરન્સમાં વાત કરતાં ધવને કહ્યું કે ‘જો મને ત્રીજા નંબરે મોકલવાનો નિર્ણય લેવામાં આવશે તો પણ મને કોઈ વાંધો નથી. મારા દેશ માટે અને ટીમ માટે આટલું કરવા હું તૈયાર છું. જોકે તમારે મેન્ટલી તૈયાર રહેલું પડે છે અને ટીમના દરેક પ્લેયર માનસિક રીતે તૈયાર છે માટે જ તેઓ ઇન્ટરનૅશનલ ક્રિકેટ ટીમમાં છે. આ તમારી જર્નીનો એક ભાગ છે. તમારે નંબરમાં ફેરફાર માટે તૈયાર રહેવું પડે છે. હા, કૅપ્ટનને પોતે કયા નંબરે રમવું છે એ તેનો સ્વતંત્ર નિર્ણય હોય છે. મને લાગે છે ત્યાં સુધી તે પોતે ત્રીજા નંબરે સારું રમી શકે છે.’