14 February, 2019 06:53 PM IST |
વિનોદ રાય
ટીવી-શોમાં મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણીના મામલે સસ્પેન્ડ કરાયેલા ક્રિકેટરો હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલે ગઈ કાલે બિનશરતી માફી માગી હતી. દરમ્યાન વહીવટી સમિતિના અધ્યક્ષ વિનોદ રાયે કહ્યું હતું કે ક્રિકેટ બોર્ડ બન્ને ખેલાડીઓની કરીઅરને સંકટમાં નાખવાને બદલે તેમનામાં સુધારો કરવા પર ધ્યાન આપશે. બન્ને ખેલાડીઓએ બિનશરતી માફી માગી હોવા છતાં ક્રિકેટ બોર્ડ સાથે સંકળાયેલાં 10 સ્ટેટ અસોસિએશનોએ આ મામલે તપાસ માટે લોકપાલ નિયુક્ત કરવા માટે સ્પેશ્યલ જનરલ મીટિંગ બોલાવવાની માગણી કરી છે. બીજી તરફ વહીવટી સમિતિનાં અધ્યક્ષ ડાયના એદલજી ઇચ્છે છે કે આ તપાસ વહીવટી સમિતિ અને ક્રિકેટ બોર્ડના અધિકારી કરે. વહીવટી સમિતિના અધ્યક્ષે આ મામલે ક્રિકેટ બોર્ડના CEO રાહુલ જોહરીને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ડાયના એદલજીના મતે આવું થવાથી સમગ્ર મામલે ભીનું સંકેલાય એવી ભીતિ છે.