12 January, 2020 01:19 PM IST | Mumbai Desk
શાર્દુલ ઠાકુરનું કહેવું છે કે જરૂરિયાતના સમયે ટીમ માટે બૅટિંગ કરવી ખૂબ મહત્ત્વની છે. શ્રીલંકા સામેની છેલ્લી ટી૨૦ મૅચમાં આઠમા નંબરે આવીને ધમાકેદાર બૅટિંગ કરી શાર્દુલ ઠાકુરે ટીમ ઇન્ડિયાનો સ્કોર ૨૦૦ની પાર પહોંચાડવામાં મદદ કરી હતી. તેણે રમેલી નિર્ણાયક ઇનિંગને ફરીથી ક્રિકેટપ્રેમીઓ અને વિશેષજ્ઞો માટે ચર્ચાનો વિષય બન્યો છે. આ વિશે વાત કરતાં શાર્દુલે કહ્યું કે ‘હું ધારું છું કે મારામાં બૅટિંગ કરવાની ક્ષમતા છે અને એને માટે હું ઘણી મહેનત પણ કરું છું. જો હું આઠમા નંબરે આવીને ટીમ ઇન્ડિયા માટે સ્કોર કરી શકું છું તો એ ખરેખર મહત્ત્વનું કહેવાય. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં હું વધારે આઉટસ્વિંગ કરું છું એટલે મારું લક્ષ્ય બૉલને વહેલો સ્વિંગ કરવાનો છે.’
શાર્દુલે આઠમા ક્રમે આવીને આઠ બૉલમાં બે સિક્સર અને એક બાઉન્ડરી ફટકારીને નૉટઆઉટ બાવીસ રન બનાવ્યા હતા અને ત્રણ ઓવરમાં ૧૯ રન આપીને બે વિકેટ ઝડપી હતી. આ પર્ફોર્મન્સને લીધે તેને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.